હિંસક આંદોલન પછી પ્રથમવાર જાહેરમાં દેખાયા
પાર્ટીના છાત્ર સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેલા ઓલીએ વર્તમાન સરકારને ગેરબંધારણીય ગણાવી
નવી દિલ્હી: નેપાળના જેન-ઝી આંદોલન દરમ્યાન યુવા પ્રદર્શનકારીઓ પર થયેલી ગોળીબારના સંદર્ભમાં ગઠિત ન્યાયિક આયોગે પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સહિત પાંચ પ્રમુખ વ્યક્તિઓને અનુમતિ વિના કાઠમંડૂ છોડવાની મનાઈ કરી છે. સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ ગૌરી બહાદુર કાર્કીની અધ્યક્ષતા હેઠળ ગઠિત આ આયોગના નિર્દેશ અનુસાર કેપી ઓલી સહિત અનેક નેતાઓના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે.
દરમ્યાન ૮ સપ્ટેમ્બરે ભડકેલા આંદોલન પછી કેપી શર્મા ઓલીએ પ્રથમવાર જાહેર મંચ પર વાપસી કરી છે. ઓલીએ યુવા સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપી જેને તેમની પાર્ટીમાં ફરી યુવાઓ સાથે જોડાણ સાધવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
ન્યાયિક આયોગે ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક, ભૂતપૂર્વ વડા પ્રધાન શેરબહાદુર દેઉવા તેમજ પૂર્વ વિદેશ મંત્રી આરજૂ દેઉવાના પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. આયોગે સ્પષ્ટતા કરી છે કે તપાસ પૂરી થાય ત્યાં સુધી આ પ્રતિબંધ જારી રહેશે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં જેન-ઝી આંદોલન દરમ્યાન થયેલી હિંસામાં વીસથી વધુ યુવા પ્રદર્શનકારીઓના મોત થયા હતા તેમજ અનેક ઘાયલ થયા હતા. આ ઘટનાએ દેશમાં રાજનીતિક તેમજ સામાજિક સ્તર પર ભારે ઉથલપાથલ સર્જી હતી.
દરમ્યાન ઓલીએ રાજીનામુ આપ્યા પછી પ્રથમવાર જાહેર મંચ પર હાજરી આપી હતી. તેઓ શનિવારે પાર્ટીના છાત્ર સંગઠન રાષ્ટ્રીય યુવા સંઘના કાર્યક્રમમાં ભક્તપુર પહોંચ્યા હતા. હિંસક પ્રદર્શનો પછી ઓલીએ ૯ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી પદ છોડી દીધું હતું. ત્યાર પછી તેઓ જાહેરમાં નહોતા દેખાયા. ઓલીએ જણાવ્યું કે હાલની જેન-ઝી તરીકે ગણાતી સરકાર બંધારણીય નથી તેમજ જનતાના મતથી પણ નથી બની. તેને તોડફોડ અને હિંસાથી બનાવવામાં આવી છે. ઓલીએ દાવો કર્યો હતો કે તેમણે પોલીસને આંદોલનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ નહોતો આપ્યો, છતાં જનતા તેમના પર ક્રોધે ભરાઈ હતી.
ઓલીને શરૂઆતમાં નેપાળ આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને પછી તેમને એક અસ્થાયી ઘરમાં શિફ્ટ કરાયા હતા. હવે પાર્ટીની બેઠક પછી તેઓ ફરી જાહેરમાં આવ્યા છે. માનવામાં આવે છે કે તેઓ યુવાઓ સાથે ફરી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે.