![]()
Gujarat News : અમદાવાદના ધોળકાના ભેટાવાડા, ત્રસાડ અને નેસડા ગામના તળાવમાં શુદ્ધિકરણ કર્યા વિનાનું ગટરનું પાણી ઠાલવવાના મામલે કોર્ટે આપેલા નિર્દેશોનું પાલન ન કરાતા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર (એડમિન) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના હોદ્દેદાર એમડી વિરુદ્ધ અવમાનના નોટિસ જારી કરી છે.
ગુજરાત હાઇકોર્ટે GPCBના ચેરમેન આર.બી.બારડ, અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના હોદ્દેદાર એમડી રામ્યા મોહન, ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન જાડેજા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન એમ થેન્નારાસન સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે.
કોર્ટે જવાબદાર અધિકારીઓને જાહેરહિતની અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાનો ઉકેલ લાવવા અને કેસની આગામી સુનાવણીની તારીખ સુધીમાં આ ત્રણ ગામોના તળાવોમાં પાણીના પ્રદૂષણને રોકવા માટે નક્કર પ્લાન ઘડવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન નોંધ્યું કે પાણીના નમૂનાના અહેવાલમાં ગંધ અને ફેકલ કોલિફોર્મની હાજરીનો ઉલ્લેખ છે. ત્રાસદ, ભેટાવડા અને નેસડા ગામના તળાવમાં ગટરના પાણીની હાજરી છે. અહેવાલના તારણો કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય તેવું લાગે છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ઓપરેટ પાસેથી મળેલી માહિતી જાણીને ખુબ જ આઘાત લાગ્યો, જેમાં ગટરના પાણીને ટ્રીટ કર્યા પછી 7 કિલોમીટર લાંબી ભૂર્ગભ પાઈપલાઈનથી સાબરમતી નદીમાં છોડવામાં આવતું હોવાની વાત છે. જોકે, સ્થળ પર હાજર GPCB અધિકારીએ માહિતી આપી હતી કે ઉપરોક્ત ટ્રીટ કરેલા ગટરના પાણીને સાબરમતી નદીમાં છોડી શકાતું નથી કારણ કે તે માન્ય નથી અને તેનો ઉપયોગ નગરપાલિકાના બગીચાના કામમાં અને નર્સરી હેતુ માટે થવો જોઈએ. ખેડૂતો સાથે સમજૂતી કરાર કર્યા પછી જ સિંચાઈ માટે આ પાણી પણ આપવું જોઈએ.
અહેવાલને ટાંકીને કોર્ટે નોંધ્યું કે, STP (સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ) તેની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત નથી. ગ્રામજનો તળાવોનો ઉપયોગ તેમના કૃષિ સંબંધિત હેતુઓ માટે કરે છે અને તેઓ આવા પાણીથી પાક રૂપે ઉત્પાદન મેળવવા માટે મજબૂર બન્યા છે.
વર્ષ 2018માં નારણભાઈ પટેલ નામના અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી ભેટાવાડા ગામના તળાવને પ્રદૂષણ મુક્ત કરવા માટે નિર્દેશની માંગ કરી હતી.










