![]()
Congress Attack On RSS : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં દાવો કર્યો હતો કે, સંઘના નેતાઓ આઝાદીની લડાઈ દરમિયાન જેલમાં ગયા હતા. ત્યારે આ નિવેદનને લઈને કોંગ્રેસે આકરો પ્રહાર કર્યો છે અને વડાપ્રધાનના દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે. કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપી હતી.
RSSએ આંદોલન દબાવવા અંગ્રેજોને મદદ કરી હતી : કોંગ્રેસ
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ‘જ્યારે 1942માં અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન શરૂ થયું, ત્યારે આખો દેશ જેલમાં જઈ રહ્યો હતો, પરંતુ આરએસએસ આ આંદોલનને દબાવવામાં અંગ્રેજોને મદદ કરી રહ્યું હતું.’ કોંગ્રેસે એમ પણ કહ્યું કે, તે વખતે તમામ મોઢે એક નારો હતો અને તે હતો ‘જે દેશભક્ત હતા, તેવો યુદ્ધમાં ગયા, જેઓ ગદ્દાર હતા, તેઓ સંઘમાં ગયા.’
‘RSSનો એક પણ નેતા આઝાદી બાદ જેલમાં ગયો નથી’
પાર્ટીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘આરએસએસ એક એવું સંગઠન છે જેનો એક પણ નેતા આઝાદીની લડાઈમાં જેલમાં ગયો નથી. આ સંગઠન મહાત્મા ગાંધી, ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા દેશભક્ત અને ક્રાંતિકારીઓને અરાજકતાવાદી ગણાવીને બ્રિટિશ શાસનની તરફેણમાં કામ કરતું હતું. આરએસએસે 100 વર્ષના તેના ઇતિહાસમાં એવું એક પણ કામ કર્યું નથી, જેનાથી દેશને કોઈ ફાયદો થયો હોય.’ આઝાદીની લડતમાં આરએસએસની ભૂમિકાને લઈને ચાલી રહેલા આ વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઘણી વખત સંઘ પર પ્રહારો કરી ચૂક્યા છે.
‘બ્રિટિશ શાસને ક્યારેય આરએસએસ પર કોઈ પ્રતિબંધ લાદ્યો ન હતો’
આજે દેશને રાષ્ટ્રવાદના મૂળાક્ષરો શીખવતા RSSએ 1925માં તેની સ્થાપના પછી કોઈપણ બ્રિટિશ વિરોધી ચળવળમાં ભાગ લીધો નથી (1930ની સવિનય અવજ્ઞા ચળવળ અથવા 1942ની ભારત છોડો ચળવળ). જ્યારે કોંગ્રેસ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ અને અન્ય ક્રાંતિકારી સંગઠનો પર વારંવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે બ્રિટિશ શાસને ક્યારેય આરએસએસ પર કોઈ પ્રતિબંધ લાદ્યો ન હતો. તેના કોઈપણ સ્વયંસેવકોને ક્યારેય જેલમાં મોકલવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો : રશિયન યુવતી ‘કોકો’ એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું – મારે એ અધિકારીને નથી મળવું
‘RSS દેશની મોટાભાગની સમસ્યાઓનું મૂળ’
કોંગ્રેસે વધુમાં કહ્યું કે, આરએસએસએ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક ભાગલા પાડીને દેશના બે ટુકડા કરાવ્યા. આ તે સંગઠન છે, જેના હાથ મહાત્મા ગાંધીના લોહીથી રંગાયેલા છે. આ તે સંગઠન છે, જેના કહેવાતા બહાદુર સભ્યો બ્રિટિશરો માટે બાતમીદાર હતા. સ્વતંત્રતા બાદ RSSએ બંધારણનો પણ અસ્વીકાર કર્યો હતો. બંધારણ સભામાં RSSએ એક પણ પ્રતિનિધિ મોકલ્યો ન હતો. આનાથી ગુસ્સે થઈને RSSના નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગોળીઓથી વીંધીને તેમની હત્યા કરી દીધી. આજે પણ RSSનો એક જ એજન્ડા છે – દેશમાં હિંદુ-મુસ્લિમ તણાવ ભડકાવીને સત્તા કબજે કરવી, સંસ્થાઓ પર કબજો કરવો અને નફરત ફેલાવવી. RSS દેશની મોટાભાગની સમસ્યાઓનું મૂળ છે. જે દિવસે આ સંગઠન દેશને આગ લગાડવાનું અને નબળું કરવાનું બંધ કરશે, તે દિવસે અડધાથી વધુ સમસ્યાઓનો ઉકેલ આવી જશે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?
દિલ્હીમાં સંઘના શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આરએસએસના સ્થાપક કેશવ રાવ બલિરામ હેડગેવાર સહિત સંઘના અન્ય સ્વયંસેવકોને પણ બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા બદલ જેલમાં જવું પડ્યું હતું. 1942માં મહારાષ્ટ્રના ચિમૂર ખાતે જે આંદોલન થયું હતું, તેમાં આરએસએસના કાર્યકર્તાઓને અંગ્રેજી હુકૂમત દ્વારા હેરાન કરાયા હતા. આઝાદી પછી પણ સંઘને હૈદરાબાદના નિઝામોના હાથે અત્યાચાર સહન કરવો પડ્યો હતો, તેમ છતાં સંઘ રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતો અને એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્ય પર ટકેલું રહ્યું.
આ પણ વાંચો : યુપીના ફતેહપુરમાં આકાશથી વીજળી પડતા હોનારત, પિતા-પુત્ર સહિત 7ને કાળ ભરખી ગયો










