![]()
– બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજના હતી
– મહાપાલિકાએ 6 માસમાં રૂા. 71.98 લાખ વ્યાજ ફ્રીજ કર્યુ, રૂા. 81.10 લાખ મુદ્દલ વસુલી
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજના અમલમાં લાવવામાં આવી હતી અને આ યોજનામાં ૬ માસમાં ઘણા આસામીએ લાભ લીધો છે. હાલ આ યોજના પૂર્ણ થઈ ગઈ છે.
મહાપાલિકામાં વ્યવસાય વેરાની કુલ બાકી રકમ પૈકી વ્યવસાય વેરાની મુદલ રકમ કરતાં વ્યાજની રકમ વધુ થતી હોય વ્યવસાયકર્તાઓને બાકી વેરાની રકમ ભરપાઈ કરવામાં સરળતા રહે તે હેતુથી ભાવનગર મહાપાલિકા દ્વારા વ્યવસાય વેરાની બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજના ગત તા. ૧ એપ્રિલથી ગત તા. ૩૦ સપ્ટેમ્બર-ર૦રપ સુધી અમલમાં લાવવામાં આવી હતી. આ યોજનામાં છેલ્લા ૬ માસમાં ૪પ૭ આસામીએ જ લાભ લીધો છે. આ આસામીઓની વ્યાજ અને મુદ્દલ મળી કુલ રૂા. ૧,પ૩,૦૯,૯૦ર રકમ થાય છે, જેમાં મહાપાલિકાએ રૂા. ૭૧,૯૮,૯૮૯ વ્યાજ ફ્રીજ કર્યુ છે, જયારે રૂા. ૮૧,૧૦,૯૧૩ મુદ્દલ રકમ વસુલી છે તેમ મહાપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડન્ટ આરતી રાઠોડે જણાવેલ છે.
મહાપાલિકાની બાકી રકમ ઉપરનું વ્યાજ ફ્રિજ કરીને મૂળ રકમ વસુલ લેવા માટેની યોજનામાં શરૂઆતમાં ઓછા કરદાતાએ લાભ લીધો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં ઘણા કરદાતાઓએ યોજનાનો લાભ લીધો હોવાનુ જાણવા મળેલ છે.
સરકાર વ્યાજ માફી આપશે તો કરદાતાઓને લાભ થશે
વ્યવસાય વેરામાં વ્યાજ માફી આપવામાં આવે તો કરદાતાઓને લાભ થાય તેમ છે તેથી જ ભાવનગર મહાપાલિકાએ હાલ વ્યાજની રકમ ફ્રીજ કરી છે. આ બાબતે મહાપાલિકાએ રાજ્ય સરકારને જાણ પણ કરી છે છતાં હજુ કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી તેથી કરદાતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ૬પ વર્ષની ઉપરના વેપારીઓને વ્યવસાય વેરો ભરવાનો નથી તેવો નિયમ છે પરંતુ ઘણા વેપારીઓને ખબર નહીં હોવાથી અરજી કરતા નથી ત્યારે મહાપાલિકાએ ૬પ વર્ષની ઉપરના વેપારીઓને વ્યવસાય વેરો ન ભરવો પડે તે માટે સીસ્ટમ ગોઠવવી જરૂરી છે.
મહાપાલિકાને વ્યવસાય વેરાની કુલ રૂા. 4.66 કરોડની આવક
ભાવનગર મહાપાલિકાને વ્યવસાય વેરાની ૬ માસમાં કુલ રૂા. ૪,૬૬,૯૦,૭૩૪ ની આવક થઈ છે અને કુલ ૭,પ૭૮ કરદાતાએ વ્યવસાય વેરો ભર્યો છે, જેમાં નવા તેમજ જુના કરદાતાઓનો સમાવેશ થાય છે. વ્યવસાય વેરાની રકમ સ્વિકારવાની કામગીરી શરૂ છે ત્યારે કરદાતાઓને વેરો ભરવા માટે મહાપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડન્ટને અનુરોધ કર્યો છે.










