![]()
Maharashtra Road Accident: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે (18મી ઓક્ટોબર) એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં આઠ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. નંદુરબારના ચાંદશાલી ઘાટ પર યાત્રાળુઓને લઈ જઈ રહેલું પિકઅપ વાહન કાબૂ ગુમાવીને ખીણમાં પલટી મારી જતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
નંદુરબાર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ યાત્રાળુઓ પવિત્ર અષ્ટમ્બ યાત્રા પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ચાંદસાલી ઘાટ પરથી પસાર થતી વખતે પિકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે વાહન ખીણમાં પલટી મારી ગયું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પિકઅપ પલટી જતાં વાહનની પાછળ બેઠેલા લોકો તેની નીચે કચડાઈ ગયા હતા. ઘણાં લોકોને ગંભીર ઈજાઓ થઈ અને તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ બચાવવા પહોંચ્યા ત્યારે દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું, જ્યાં ઘણાં મૃતદેહો રસ્તા પર અને વાહનની નીચે પડેલા હતા.
પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી ઝડપી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એક જ પરિવાર કે ગામના આટલા બધા સભ્યોના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.










