![]()
દશેરાના દિવસે સુરતમાં હજારો કિલો ફાફડા જલેબીનું વેચાણ થયું છે પરંતુ કેટલાક લેભાગુ વેપારીઓએ ફાફડા જલેબીના વેચાણમાં ગ્રાહકો છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પણ બહાર આવવાનું શરૂ થઈ ગયું છે. સુરતમાં સીંગતેલ- કપાસિયા તેલમાં બનેલા ફાફડા 500 રૂપિયે કિલોનું વેચાણ થયું હતું. તો બીજી તરફ કેટલાક લેભાગુ વેપારીઓએ પામોલીન અને ભેળસેળીયા તેલમાં ફાફડા બનાવી 500 રૂપિયા કિલોથી વેચાણ કરી દીધું હતું.
દશેરાના દિવસે સુરતમાં ફાફડા વીઆઈપી બની ગયા હતા અને મોટાભાગની દુકાનોમાં ફાફડા અને જલેબીનું મોટી માત્રામાં વેચાણ થયું હતું. દશેરાના કારણે સુરતમાં મોટી માત્રામાં ફાફડાનું વેચાણ થયું છે અને મોટા ભાગની દુકાનોમાં સિંગતેલ અથવા કપાસિયા તેલમાં બનાવેલા ફાફડાનું 500 રૂપિયા કિલો થી વેચાણ થયું હતું. દશેરાના દિવસે ફાફડા જલેબીની ડિમાન્ડ જોઈ કેટલાક લેભાગુ વેપારીઓએ પણ પામોલીન કે ભેળસેળીયા તેલમાં બનેલા ફાફડા બનાવી 500 રૂપિયે કિલો વેચાણ કરી દીધા હતા. આવા લેભાગુ વેપારીઓને ત્યાંથી ફાફડા જલેબી ખરીદનારા ગ્રાહકોએ ઉપયોગ કર્યા બાદ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
આમ સુરતમાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેવો ઘાટ દશેરાના દિવસે થયો હતો. આજના દિવસે સિંગતેલ- કે કપાસિયા તેલમાં બનેલા ફાફડા તથા પામોલીન તેલમાં બનેલા ફાફડાને પણ એ જ ભાવે ગ્રાહકોને આપવામાં આવ્યા હતા. તહેવારોમાં સુરતીઓની લાગણીઓ સાથે ખેલ કરનારા લેભાગુ વેપારીઓ સામે કાર્યવાહી કરવા માગ ગ્રાહકો કરી રહ્યાં છે.
લેભાગુ વેપારીઓએ જલેબીની મીઠાશમાં ગ્રાહકોને કડવો અનુભવ કરાવ્યો
સુરતમાં દશેરાના દિવસે ફાફડાની જેમ જલેબીના વેચાણમાં પણ કેટલાક લેભાગુ વેપારીઓએ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પણ બહાર આવી છે. સુરતમાં કેટલાક લેભાગુ વેપારીઓએ તેલમાં બનેલી જલેબી પર ઘી-એલચીનો ભૂકો નાખી શુદ્ધ ઘી જલેબી તરીકે વેચાણ કર્યું હોવાની ફરિયાદ પણ થઈ રહી છે.
દશેરાના દિવસે મોટાભાગની જગ્યાએ શુદ્ધ ઘીની જલેબી નું વેચાણ થાય છે ફાફડા ની જેમ કેટલાક લેભાગુ વેપારીઓ તથા ઓર્ડર હોય તેવા કેટરર્સ વાળા પણ કેટલાક ગ્રાહકોને ઘીની જલેબી ની જગ્યાએ ભેળસેળીયા જલેબી આપી દીધી છે. કેટલાક કેટરસ વાળા સામાન્ય દુકાનોમાંથી તેલમાં બનેલી જલેબી નો જથ્થો ખરીદ્યો હતો અને તેના પર ઘી ઓલાળી અને થોડો એલચીનો ભૂકો નાખી ને ઘીની જલેબી જેવો ભાવ લઈને પધરાવી દીધી હતી. આવી જ રીતે કેટલાક લેભાગુ વેપારીઓએ પણ આ ટ્રીક અપનાવી તેલમાં બનેલી જલેબી ઘીમાં બની હોય તેમ ઉંચા ભાવે ગ્રાહકોને પધરાવી દીધી હતી. દશેરાના તહેવારની મીઠાશમાં કેટલાક લેભાગુ વેપારીઓની લાલચે ગ્રાહકોને કડવો અનુભવ થયા છો તેથી આવા વેપારીઓ સામે પણ પગલાં ભરવા માંગણી થઈ રહી છે.










