
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
ભારતના સુપ્રીમ કોર્ટએ સોમવાર-૦૬ આક્ટોબર, ૨૦૨૫ના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સની સંવિધાનિક માન્યતા પડકારતી અરજી પર વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સે એક સીધો વેરો છે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ રજિસ્ટર્ડ સ્ટોક એક્સચેન્જ મારફતે થતી શેર્સની લેવડદેવડ-સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન્સ પર વસૂલવામાં આવતો વેરો છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ૨૦૦૪ના નાણાં અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ જે.બી. પરડીવાલાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજદાર અસીમ જુનેજા દ્વારા દાખલ થયેલી અરજી પર નાણાં મંત્રાલય મારફતે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. અરજદારના વકીલ સિદ્ધાર્થ કે. ગર્ગે દલીલ કરી હતી કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સમાનતા અને વ્યવસાય અથવા જીવનનિર્વાહ કરવાની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો તેમજ માન સન્માન સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. વિત્ત મંત્રીએ રિટેલ રોકાણકારોને એફ એન્ડ ઓથી દૂર રાખવા માટે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં વસૂલવામાં આવતો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ કાયદેસર છે કે નહીં તેની તપાસ કરવા કરતાંય વધુ જરૃર એટલે ઊભી થઈ છે કે એસટીટી ડબલ ટેક્સેશનના સિદ્ધાંતનો ભંગ કરે છે. કારણ કે અરજદાર એટલે કે એક સ્ટોક માર્કેટ ટ્રેડર બજારમાં રોકાણ કર્યા પછી થતાં નફાની રકમ પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવે છે અને એ જ વ્યવહાર પર વધારામાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ ચૂકવવો પડે છે. આ બમણો વેરો હોવાનું જણાય છે.
બીજીતરફ એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એ ભારતમાં એકમાત્ર એવો વેરો છે જે માત્ર લેવડદેવડ કરવા પર વસૂલ કરવામાં આવે છે. આ વહેવારમાં નફો થાય કે નુકસાન થાય વેરો લાગુ પડે જ છે. તેથી આ વેરો દંડાત્મક છે. વેપાર કરનારાઓને માટે ઉત્સાહ ઘટાડનારો છે.
ભારતમાં દરેક કર વર્ષના અંતે થયેલા નફા પર વસુલવામાં આવે છે, પરંતુ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ તો ત્યારે સ્ટોક માર્કેટ ટ્રેડરને નુકસાન થયું હોય તો પણ વસૂલી લેવામાં આવે છે. જોકે ૨૦૦૪ની સાલમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સ્ટોકમાર્કેટમાં ટેક્સ ચોરી અટકાવવા માટે શરૃ કરવામાં આવ્યો હતો. હા, પગારદારોની પગારની આવકમાંથી કર કપાત કરવામાં આવે છે. પરંતુ વર્ષના અંતે રિફંડ સ્વરૃપ તે પરત આવે છે. પરત ન આવે તો આવકવેરાની જે તે કરદાતા સામે ઊભી થતી જવાબદારી સામે એડજસ્ટ થઈ જાય છે. સિક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ-સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સના કિસ્સામાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને ટ્રેડરને બંને ચૂકવવા પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો એસટીટી ઉપરાંત કેપિટલ ગેઈન ટેક્સ પણ ચૂકવવો પડે છે.










