![]()
– સોની વેપારી ગ્રાહકોના રૂપિયા લઈ દુકાન બંધ કરી ફરાર
– ગોળબજારમા ખોડિયાર જવેલર્સના માલિકે 10 ગ્રાહકો પાસેથી ઘરેણાં બનાવવા માટે એડવાન્સ રકમ મેળવી વિશ્વાસઘાત કર્યો
ભાવનગર : ભાવનગરની ગોળ બજારમાં આવેલ ખોડિયાર જવેલર્સનો માલિક ૧૦ જેટલા ગ્રાહકો પાસેથી ઘરેણાં બનાવવા માટે રૂ.૨૦ લાખ ઉપરાંતની રકમ મેળવી પોતાની દુકાન બંધ કરી દઈ ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
ભાવનગરના તરસમીયા રોડ, શેરી નં ૦૪, માધવ રેસીડેન્સીમાં રહેતા અને ટોટલ ઓઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ શહેરની ગોળબજારમાં આવેલ ભાવેશભાઈ કનૈયાલાલ લુંભાણીની ખોડિયાર જવેલર્સ નામની દુકાનમાં પોતાના પરિવાર માટેના ઘરેણાં બનાવડાવતા હતા અને ભાવેશભાઈ સાથે પરિચયમાં હતા. પ્રવીણભાઈના દીકરા મહાદીપના પત્ની ચેતનાબેન ગુજરી ગયેલ હોવાથી તેમનો જુનો સોનાનો હાર નવો બનાવવાનો હોવાથી પ્રવીણભાઈ અને તેનો પુત્ર મહાદીપ ગત તા.૨૫ જૂનના રોજ ખોડિયાર જવેલર્સના ગયા હતા અને જૂનો હાર વેચીને નવો હાર બનાવવાની વાત કરી હતી. જુના હારની બજાર કિંમત રૂ.૧,૭૩,૦૦૦ થતી હોય, પ્રવીણભાઈએ હાલ નાણાંની જરૂર હોવાથી રૂ.૯૩,૦૦૦ રોકડા લીધા હતા અને રૂ.૮૦,૦૦૦ નવો હાર બનાવવા માટે જમા રાખ્યા હતા. ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ નવો હાર બનાવવા માટે ભાવેશભાઈની દુકાને ગયા હતા ત્યારે દુકાન બંધ હતી અને વેપારીનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. બે દિવસ બાદ ફરી તપાસ કરતા દુકાન બંધ હતી. આ વેપારી અંગે આજુબાજુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશ લુંભાણી ઘણા ગ્રાહકોના ઘરેણા પોતાની પાસે રાખીને પૈસા લઈને ફરાર થઈ ગયો છે. પ્રવીણભાઈ ગોહિલે તપાસ કરતા આ વેપારી અન્ય ૦૯ જેટલા ગ્રાહકોના રૂપિયા મેળવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળતા પ્રવીણભાઈએ ખોડિયાર જવેલર્સના માલિક ભાવેશ વિરુદ્ધ ગ્રાહકો સાથે રૂ ૨૦,૪૮,૮૦૦ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાં ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આટલા ગ્રાહકો સાથે વેપારીએ છેતરપિંડી આચરી
પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ (રહે તરસમીયા ભાવનગર) ૮૦,૦૦૦, સિદ્ધરાજસિંહ હેમુભા ગોહિલ (રહે. રામણકા, તા.ઉમરાળા) રૂ.૧,૯૦,૦૦૦, દેવુબેન કાનાભાઈ બરબરિયા (રહે. રાજપરા ખોડિયાર,તા.સિહોર) રૂ.૩,૫૭,૦૦૦, શંકરભાઈ રામજીભાઈ મકવાણા (રહે.રાજપરા ખોડિયાર, તા. સિહોર) રૂ.૧,૫૦,૦૦૦, દર્શનભાઈ રમણીકભાઇ સરવૈયા (રહે.ટાણા તા. સિહોર) રૂ.૧,૯૦,૦૦૦, લાલજીભાઈ વશરામભાઇ પરમાર (રહે.શામપરા ખોડિયાર,તા. ભાવનગર) રૂ.૩,૦૦,૦૦૦, ઇબ્રાહીમભાઇ રસુલાઇ તૂર (રહે.જુના પાદર, તા.ઘોઘા) રૂ. ૩,૧૯,૦૦૦, કિરણભાઈ દોલતસિંહ પરમાર (રહે.ચિત્રા,ભાવનગર ) રૂ.૮૪,૬૦૦, નીતેશ આણંદભાઈ ધંધુકિયા (રહે.સાંકડાસર તા.તળાજા ) રૂ.૧,૮૭,૨૦૦, મનીષભાઈ ભવાનભાઈ (સોંડાગર રહે.તણસા તા. ઘોઘા) રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ નવ ગ્રાહકો સાથે સોની વેપારીએ છેતરપિંડી આચરી હતી.









