Congress Leader Shashi Tharoor: કોંગ્રેસ નેતા શશી થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. રાયસીના ડાયલોગમાં થરૂરે કહ્યું છે કે, ‘રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતના વલણનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો છું. ભારતે જે નીતિ અપનાવી હતી, તેના લીધે આપણે સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સક્ષમ બન્યા છીએ.’ થરૂરના આ નિવેદનથી કોંગ્રેસમાં આંતરિક સ્તરે ઘમસાણ સર્જાઈ શકે છે.
PM મોદીના પ્રયાસોથી શાંતિ સ્થાપિત થઈ
રાયસીના ડાયલોગમાં શશી થરૂરે જણાવ્યું હતું કે, ‘મેં રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતની ટીકા એટલા માટે કરી હતી કે, કારણ કે એ હુમલો યુક્રેનના સાર્વભૌમત્વ પર થયો હતો. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવા માટે બળ પ્રયોગનો વિરોધ કરે છે. તે વખતે યુનાઈટેડ નેશન્સ ચાર્ટરનું ઉલ્લંઘન થયું હતું. તેથી મેં પણ તેનો વિરોધ કર્યો હતો. જો કે, આ વખતે વડાપ્રધાન મોદીના પ્રયાસોથી બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થઈ શકે છે. આપણી પાસે એવા વડાપ્રધાન છે, જે એક જ સપ્તાહમાં યુક્રેન અને રશિયાના પ્રમુખોને મળી શકે છે. એ બંને નેતા તેમની વાત સાંભળે અને સ્વીકારે પણ છે.’
એનડીએ સરકારનો સતત વિરોધ કરનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા થરૂરે થોડા વર્ષ પહેલાં અગાઉ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતના વલણની ટીકા કરી હતી. હવે તેમણે કહ્યું કે, ‘હું હજુ પણ મારા ભૂતકાળના નિવેદન બદલ દિલગીર છું. સંસદમાં હું એકમાત્ર સાંસદ હતો, જેણે ફેબ્રુઆરી, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત સરકારના વલણની ટીકા કરી હતી. ભારતના રશિયા તરફી વલણના કારણે યુક્રેન અને યુક્રેનના સમર્થકો નારાજ થઈ શકે એમ હતા. મારું એવું માનવું હતું.’
આ પણ વાંચોઃ પુતિનની દગાખોરી અને ટ્રમ્પના નરમ વલણથી યુક્રેનના લોકો ટેન્શનમાં, કહ્યું- ‘અમને અમારા રાષ્ટ્રપતિ પર ભરોસો’
ભારત શાંતિ સૈનિક મોકલવા વિચારે
થરૂરે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે, ‘હું વિપક્ષમાં છું. ભારત સરકાર તરફથી બોલવાનો અધિકાર નથી. પરંતુ મારું માનવું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા પર હસ્તાક્ષર થાય તો ભારત ત્યાં શાંતિ દૂત સૈનિકો મોકલવા વિચારી શકે છે. ભૌગોલિક તેમજ રશિયાની શરતને આધીન ભારત શાંતિ સૈનિક મોકલી શકે છે. રશિયાએ સ્પષ્ટતા કરી હતી કે, તે નાટો દેશોમાંથી આવતા શાંતિના દૂત(સૈનિકો)નો સ્વીકાર કરશે નહીં. એટલે યુરોપની બહારના દેશોએ શાંતિ દૂત મોકલવા પડશે. તો આ ભારત માટે એક તક છે.’
ભારતે 49થી વધુ શાંતિ મિશનમાં સહયોગ આપ્યો
થરૂરે કહ્યું હતું કે, ‘ભારતે અગાઉ 49થી વધુ શાંતિ મિશનમાં સહયોગ આપ્યો છે. આ શાંતિ મંત્રણા માટે ભારતનો પ્રયાસ કારગર સાબિત થશે તેવા સંકેત પણ છે. 2003માં ઈરાકમાં પણ શાંતિ દૂત તરીકે ભારતીય સૈનિકો જ મોકલવામાં આવ્યા હતા.’