![]()
Jamnagar Court : જામનગરના એક કારખાનેદારનું અપહરણ કરીને 20 દિવસ સુધી ગોંધી રાખવા અને તેને કારખાનાની મશીનરી પણ ઝુંટવી લેવાના આરોપ ઉપરાંત કારખાનેદારે પાંચ અલગ લેણદારોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યાની ફરિયાદના કેસમાં ધરપકડ બાદ જેલમાં ગયેલા આરોપી ધર્મેશ મૂળજીભાઈ રાણપરીયા દ્વારા સેસન્સ અદાલતમાં કરવામાં આવેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુધાબેન લાલજીભાઈ મારકણા નામના મહિલાએ ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સહિત પાંચ શખ્સો સામે તા.26/9/25ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ ધંધાકીય જરૂરિયાત માટે પાંચેય પાસેથી વ્યાજે લીધેલા નાણા કરતા પણ વધુ નાણાં ચૂકવી આપ્યા છે. છતાં પણ તમામ અલગ અલગ પાંચ લેણદારો દ્વારા તેઓને ઉઘરાણી માટે ત્રાસ આપવામાં આવતો હોવાથી પતિ લાલજીભાઈ મારકણાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
પોલીસ દ્વારા આ ફરિયાદ પરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પકડાયેલા આરોપીઓ પૈકીના ધર્મેશ મૂળજીભાઈ રાણપરીયા એ રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેમાં તેના તરફે વર્ષ 2024 ના મુદ્દાને આગળ ધરીને ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. આ સામેં ઉપસ્થિત થયેલા જિલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરીએ અદાલતને જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશ રાણપરીયા સામે પ્રથમ દર્શનીય કેસ છે. તે ગુનો કરવાની ટેવવાળો છે. તેને જામીનમુક્ત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. ઉપરાંત ફરિયાદીના પતિએ તેના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. તેથી આ કેસમાં આરોપીની જામીન રદ કરવામાં આવે. સેસન્સ અદાલતે બંને પક્ષની રજૂઆતો-દલીલો સાંભળ્યા બાદ આરોપી ધર્મેશ રાણપરીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.










