Jamnagar Ramnavami : આવતીકાલે તારીખ 6-4-2025 ને રવિવારના દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની આરાધનાનું પર્વ રામનવમી આવી રહ્યું હોઈ, તે પહેલાં જ છોટી કાશી ગણાતા જામનગર શહેરના રામભક્તોમાં ઉત્સાહ જગાવવા માટે ગઈકાલે શુક્રવારે રાત્રે ‘ભક્તિફેરી’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતું. મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષ રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય રામસવારીનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ રામનવમીના તહેવારને લઈને જામનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને શોભાયાત્રા રંગેચંગે યોજાવાની છે. જેના આયોજનને આખરી ઓપ આપવા માટે ગઈકાલે રાત્રે યોજાયેલી મિટિંગ પૂર્ણ થયે ઉપસ્થિત તમામ ભક્તજનોની સંગાથે ‘ભક્તિ ફેરી’ યોજાઈ હતી.
પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરેથી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજ, રાજપૂત અગ્રણી પી.ડી.રાયજાદા, વગેરેએ ભગવા ધ્વજ ફરકાવીને ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ શરૂ થયેલી ભક્તિ ફેરી મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની આગેવાની હેઠળ “જય જય શ્રી રામ” ના જયઘોષ સાથે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરે પહોંચી હતી. જ્યાં પ્રભુદર્શન કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલા અખંડ રામધુનના પાઠની સાથે તમામ રામ ભક્તોએ જોડાઈને સંગીતની સાથે જય શ્રીરામની ધૂન બોલાવી હતી. ત્યાર પછી આ ભક્તિ ફેરી પુનઃ પંચેશ્વર ટાવર પરત ફરી હતી. જેમાં બન્ને આયોજક સંસ્થાના અગ્રણીઓ-કાર્યકરો ઉપરાંત શહેરના ધાર્મિક, સામાજિક, જ્ઞાતિ મંડળો, યુવક મંડળોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા, અને રામ નવમીના પાવનકારી પર્વ પહેલાં જ ‘છોટી કાશી’માં રામ-મય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.