![]()
– વર્ષ બદલાશે, પ્રધાનમંડળ બદલાશે : નવા ચહેરા, નવું વર્ષ
– નો રિપીટ ફોર્મ્યુલા, ભાજપ સરપ્રાઇઝ આપી શકે છે,ડેપ્યુટી મુખ્યમંત્રીની પણ અટકળો, જે.પી.નડ્ડા-બંસલે ધામા નાંખ્યા
– કોન બનેગા મંત્રી : સીએમ હાઉસ રાતભર ધમધમ્યું, બધા પ્રદેશ-જ્ઞાતિને પ્રાધાન્ય આપી પ્રજાનો રોષ ઠારવા પ્રયાસ
– સીએમ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લઇ લેવાયા
અમદાવાદ : એક તરફ, બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે તો બીજી તરફ, રાહુલ ગાંધીનું વોટ ચોરી આંદોલન વેગ પકડી રહ્યુ છે. આ બધાય મુદ્દાઓ વચ્ચે ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મંત્રીમંડળને નવો ઓપ અપાયો છે. મિશન ૨૦૨૭ને ધ્યાનમાં રાખીને ભાજપ હાઇકમાન્ડે ગુજરાત મંત્રીમંડળની નવી ટીમ તૈયાર કરી છે. શુક્રવારે પાટનગર ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની શપથવિધી યોજાનાર છે. જોકે, ગુરુવારે બપોરે મુખ્યમંત્રી આવાસ પર આયોજીત આખરી બેઠકમાં મુખ્યમંત્રીને બાદ કરતાં બધાય મંત્રીઓ પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં જેના કારણે ભાજપ કઇંક સરપ્રાઇઝ આપે તેવી અટકળોને વેગ મળ્યો હતો.
છેલ્લાં એકાદ સપ્તાહથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકરને દિલ્હીનું તેડુ આવતાં જ મંત્રીમંડળના વિસ્તરણની વાત વાયુવેગે રાજકીય ગલીયારીમાં ફરી વળી હતી. આજે મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને મુખ્યમંત્રી ગાંધીનગર પરત ફર્યા હતાં ત્યાર બાદ રાજકીય હલચલ તેજ બની હતી. બપોરે સીએમ હાઉસમાં એક બેઠક બોલાવાઇ હતી જેમાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતીમાં બધાય મંત્રીઓના રાજીનામા લઇ લેવાયા હતાં. જેના કારણે આખાય મંત્રીમંડળને નવો ઓપ આપશે તે વાત સાચી ઠરી હતી. આ ઘટનાની હકીકતથી દિલ્હી ખાતે ભાજપ હાઇકમાન્ડને વાકેફ કરાયુ હતું. મંત્રીમંડળના વિસ્તરણને પગલે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ પણ ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં પડતા મૂકાયેલાં મંત્રીઓ સાથે પણ ચર્ચા કરાઇ હતી. વર્ષ ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી ઉપરાંત મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ નહી, વર્તમાન રાજકીય પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની આખીય ડિઝાઇન નક્કી કરાઇ છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ગુજરાતના નેતાઓ સાથે પાંચ કલાક સુધી યોજાયેલી બેઠકમાં જ મંત્રીઓની યાદીને આખરી ઓપ આપી દેવાયો હતો. પાટીદાર, ઓબીસી, એસટી-એસટી સહિત અન્ય જ્ઞાતિ-પ્રદેશને પ્રાધાન્ય આપી પ્રજાનો રોષ ઠારવા ભાજપે મથામણ કરી છે.
ચર્ચા છેકે, ચાર-પાંચ મંત્રીઓને બાદ કરતાં બધાય મંત્રીઓની વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે. મોટાભાગના મંત્રીઓનું પરર્ફમન્સ નબળુ રહ્યુ છે જેમને ઘરભેગા કરી નવા ચહેરા અને યુવાઓને તક આપવાનું નક્કી કરાયુ છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપ સરપ્રાઇઝ પણ આપે તો નવાઇ નહી. આ ઉપરાંત નો રિપીટ ફોર્મ્યુલાનો અમલ થઇ શકે છે. મંત્રીમંડળના વિસ્તરણને પગલે ભાજપના બધાય ધારાસભ્યોને ગુરુ અને શુક્રવાર ગાંધીનગરમાં જ રહેવા આદેશ અપાયો છે.
આવતીકાલે ગાંધીનગરમાં સવારે ૧૧.૩૦ વાગ્યે મહાત્મા મંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. મહાત્મા મંદિરમાં પાંચેક હજાર લોકો આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
ભાજપના ધારાસભ્યોએ ઉચાટમાં રાત ગાળી એકબીજાને પૂછતા રહ્યાં, ફોન આવ્યો ? ….
મંત્રીમંડળના વિસ્તરણને પગલે ભાજપના ધારાસભ્યોનો જીવ ઉચાટે રહ્યો હતો. રાત્રે આઠેક વાગે સીએમ હાઉસમાં બેઠક યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ધારાસભ્યોને સંબોધન કર્યુ હતું. કમલમથી એવી જાણકારી આપવામાં આવી હતીકે, રાતભર જાગતા રહેજો કેમકે, ગમે તે ઘડીએ મંત્રીપદ માટે ફોન આવી શકે છે. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર ફોન કરી શકે છે. આ વાત જાણતાં જ ધારાસભ્યો આખી રાત જાગતાં રહ્યા હતાં. ફોન કરીને એક બીજાને પૃચ્છા કરતાં રહ્યા હતાંકે, ફોન આવ્યો ખરો?. ધારાસભ્યોમાં જાણે એવી ઉત્કંઠા જાગીકે, બધા ધારાસભ્યોની નજર મોબાઇલ ફોન પર મંડાયેલી રહી હતી.
સૌથી પહેલાં જગદીશ પંચાલે બંગલો ખાલી કરી દીધો, નવા મંત્રી માટે પીએ-સ્ટાફ નીમી દેવાયો
રાજીનામા આપ્યા બાદ સૌથી પહેલાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વર્ણિમ સંકુલમાં પોતાની ચેમ્બર ખાલી કરી દીધી હતી. આ ઉપરાંત જગદીશ પંચાલે તો કોઇ કહે તે પહેલાં બંગલો ખાલી કરી દીધો. એટલુ જ નહી, કાર જમા કરાવી દીધી હતી. બધા મંત્રીઓને બંગલા ખાલી કરવા આદેશ કરાયો છે જેના પગલે એકાદ અઠવાડિયામાં જ આઠ દિવસમાં મંત્રીઓને બંગલો ખાલી કરવો પડશે. આ ઉપરાંક મંત્રીઓ કાર પણ જમા કરાવવા આદેશ કરાયો છે. સામાન્ય વહીવટ વિભાગે બંગલાઓ ખાલી કરવા સૂચના આપી હતી કેમકે, શપથવિધિ બાદ નવા મંત્રીઓને તરત જ વાહન અને બંગલો ફાળવવામાં આવશે. આ ઉપરાંત નવા મંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલાં જ સામાન્ય વહીવટ વિભાગે પીએ-સ્ટાફની નિમણૂંક કરી દીધી હતી.










