Foreign Minister of Egypt called on PM Modi: ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ગાઝા શાંતિ સમજૂતીમાં ઇજિપ્ત દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા બદલ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સીસીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સમજૂતીથી આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સ્થાપિત થશે.
ઇજિપ્તના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી અબ્દેલાતીહે તેમની વર્તમાન મુલાકાત દરમિયાન યોજાઈ રહેલા પ્રથમ ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક સંવાદ વિશે વડાપ્રધાન મોદીને માહિતી આપી હતી. તેમજ પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘ગાઝા શાંતિ સમજૂતીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ સીસી પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી. ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારી આપણા લોકો, આપણા સહિયારા ક્ષેત્ર અને સમગ્ર માનવતાના લાભ માટે સતત મજબૂત થતી જઈ રહી છે.’
આ પણ વાંચો: પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકી, 7 સૈનિકોના મોત
ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બની
બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરતાં, પીએમ મોદીએ દ્વિપક્ષીય સહકારના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સહકારના મુખ્ય ક્ષેત્રોમાં વેપાર, ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેની મજબૂત અને વિકસતી વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે.











