![]()
વડોદરા,અટલાદરા નજીક એસ.ટી.બસના પૈંડા ફરી વળતા ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે દિવાળી વેકેશનમાં ફોઇના ઘરે આવેલા ૮ વર્ષના ભત્રીજાનું વાઘોડિયા રોડ પર અકસ્માતમાં મોત થયું છે.
અટલાદરા આર્યા એમ્પાયરમાં રહેતા વૈભવભાઇ પરમાનંદભાઇ વ્યાસ સયાજી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. તેમનો મોટો પુત્ર વૈભવ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. જ્યારે નાની પુત્રી યેશા ધો.૧૨ સાયન્સમાં ભણે છે. આજે સવારે છ વાગ્યે પાટણ જવા એસ.ટી.બસ સ્ટેન્ડ જવાનું હોઇ ત્રણેય જણા બાઇક પર બેસીને ઘરેથી નીકળ્યા હતા. અટલાદરા અટલાદરા બી.એ.પી.એસ.સર્કલ પાસે પાછળથી પૂરઝડપે જતી એસ.ટી.બસના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર પિતા,પુત્ર અને પુત્રી રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. બસના પંૈડા યેશાના શરીર પર ફરી વળતા તેના પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. પાદરાથી રાધનપુર જતી એસ.ટી.બસના ચાલક દિલીપકુમાર કાંતિલાલ શ્રીગોરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી નવી નગરીમાં રહેતો ઉજેત મહંમદભાઇ શેખ ફર્નિચરના કારખાનામાં નોકરી કરે છે. દિવાળીના વેકેશનમાં તેનો મામાનો ૮ વર્ષનો દીકરો ઉમર હબીબભાઇ મલેક તેના ઘરે આવ્યો હતો. ગઈકાલે ઉજેત તેની માતા તથા ઉમર સાથે મોપેડ પર બેસીને પાણીગેટ કપડા લેવા માટે જતો હતો. ડભોઇ રોડ સોમા તળાવ સર્કલ ક્રોસ કરીને ગણેશ નગર ત્રણ રસ્તા તરફ તેઓ જતા હતા. રસ્તામાં સાઇડ પર એક ટ્રક કોઇ જ આડશ વગર ઉભી હોઇ તેની પાછળ મોપેડ ઘુસી જતા ત્રણેય રોડ પર ફંગોળાઇને પડયા હતા. ઉજેતને છાતીમાં, તેની માતાને માથા તથા હોઠ પર અને ઉમરને માથામાં ગંભીર ઇજા થતા કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં પતિના મોત પછી પત્નીનું પણ મોત થયું
વડોદરા,
ત્રણ દિવસ પહેલા દુમાડ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા સરસ્વતીબેન ગગનસિંહ થાપા, ઉં.વ.૪૫ (રહે.સૂરજ નગર, એમ.જી.એમ. સ્કૂલ પાસે, સમા, મૂળ રહે. મધ્યપ્રદેશ) તથા તેમના પતિને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ગગનસિંહનું સ્થળ પર જ મોત થયું હતુ.ં જ્યારે સરસ્વતીબેનનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. દંપતી વડોદરામાં રહેતા પુત્રના ઘરે નેપાળથી આવ્યા હતા. પરંતુ, પુત્રને મળે તે પહેલા જ તેઓને મોત ભરખી ગયું હતું.










