![]()
એમ.એસ.યુનિવર્સિટી દ્વારા સંશોધનને વેગ આપવા માટે પીએચડીમાં પ્રવેશ માટેના નિયમમાં ધરખમ બદલાવ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટેની દરખાસ્ત આગામી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મૂકવામાં આવશે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ કહ્યું હતું કે, ભારતમાંથી કોઈ પણ વિદ્યાર્થી નેશનલ અથવા ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતો હશે તે એમ.એસ.યુનિવર્સિટીમાં કોઈ પણ સમય પ્રવેશ લઈ શકશે. આ નિયમ દિવાળી બાદ લાગુ થશે.જેની પાછળનો હેતુ તેજસ્વી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે બોલાવવાનો છે. આવા વિદ્યાર્થીઓને પીએચડીની દર વર્ષે થતી એડમિશન પ્રક્રિયા સુધી રાહ નહીં જોવી પડે.
દરમિયાન રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, આ વર્ષે યુનિવર્સિટીએ જીકાસ પોર્ટલ વગર પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી અને ૨૧૫ જેટલા વિદ્યાર્થીઓએ પીએચડી માટે પ્રવેશ લીધો છે અને તાજેતરમાં તેમનું ઓરિએન્ટેશન હાથ ધરાયું હતું. આ વિદ્યાર્થીઓને સંશોધન માટે કોઈ તકલીફ ના પડે તેમજ તેમને વિવિધ રિસોર્સિસ આસાનીથી મળી રહે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે.










