![]()
Afghan Defense Minister Statement: ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી મૌલવી મોહમ્મદ યાકુબ મુજાહિદે જણાવ્યું છે કે કાબુલ, ઇસ્લામાબાદ સાથે સારા પડોશી સંબંધો અને વેપાર વધારવા માગે છે. એક મુલાકાતમાં, જ્યારે ભારતની કથિત ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અફઘાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. અમારી નીતિ ક્યારેય કોઈ અન્ય દેશ સામે અમારી જમીનનો ઉપયોગ કરવાની નથી.’
સંરક્ષણ મંત્રી મૌલવી યાકુબે જણાવ્યું હતું કે, ‘અફઘાનિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત સાથે સંબંધો જાળવી રાખે છે અને રાષ્ટ્રીય હિતોના માળખામાં આ સંબંધોને મજબૂત બનાવતા રહેશે. સાથે પાકિસ્તાન સાથે સારા પડોશી સંબંધો પણ જાળવી રાખશે. અમારું લક્ષ્ય સંબંધોને વિસ્તૃત કરવાનું છે, તણાવ પેદા કરવાનું નહીં. પાકિસ્તાનના આરોપો પાયાવિહોણા, અવ્યવહારુ અને અસ્વીકાર્ય છે.’
અફઘાન મંત્રીએ કહ્યું, ‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પડોશી દેશો છે. તેમની વચ્ચે તણાવ કોઈને ફાયદો કરતો નથી. સંબંધો પરસ્પર આદર અને પડોશી સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ.’
દોહા કરારના અમલીકરણ અંગે તૂર્કિયેમાં બેઠક યોજાશે
સંરક્ષણ મંત્રી મુજાહિદે જણાવ્યું હતું કે, ‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દોહા કરારની પ્રગતિ અંગે આગામી બેઠક તૂર્કિયેમાં યોજાશે, જ્યાં અમલીકરણ અને દેખરેખ પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. તમામ પક્ષોએ કરારની દરેક જોગવાઈનું પાલન કરવું જોઈએ.’
તેમણે કહ્યું, ‘કાબુલ કરારની બધી શરતો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જો પાકિસ્તાન તેની જવાબદારીઓ પૂર્ણ નહીં કરે, તો સમસ્યાઓ ઊભી થશે.’ મુજાહિદે તૂર્કિયે અને કતાર જેવા મધ્યસ્થી દેશોને ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેના કરારને અમલમાં મૂકવામાં મદદ કરવા અપીલ પણ કરી હતી.
‘જો કોઈ અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો અફઘાનના લોકો દેશનો બચાવ કરશે’
મુલ્લા યાકુબ મુજાહિદે એમ પણ કહ્યું હતું કે, ‘જો કોઈ દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરે છે, તો અફઘાન લોકો બહાદુરીથી તેમના દેશનો બચાવ કરશે. અફઘાન લોકોનો પોતાના વતનનો બચાવ કરવા માટે ઉભા રહેવાનો ઇતિહાસ છે.’
સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન તેના રાજકીય વિરોધીઓને આતંકવાદી કહે છે, જ્યારે આતંકવાદી શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ક્યારેય સ્થાપિત થઈ નથી. ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની નીતિ કોઈપણ દેશ કે પાકિસ્તાન વિરુદ્ધ પણ સશસ્ત્ર જૂથોને ટેકો આપવાની નથી.’










