![]()
– શીયાળાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો
– મહુવા તાલુકામાં દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો : ભાવનગર, તળાજા, મહુવા વગેરે તાલુકામાં વરસાદી ઝાપટા યથાવત
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ શીયાળાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો હતો, જેના કારણે ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ છે તેથી ખેડૂતો ચિંતીત જોવા મળી રહ્યા છે.
ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ શીયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ હાલ ઠંડી પડવાના બદલે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેથી ખેડૂતોની મુંઝવણ વધી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ તેમજ કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ પડયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગઈકાલે શનિવારે રાત્રીના ૮ કલાકથી લઈ આજે રવિવારે રાત્રીના ૮ કલાક સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જયારે ભાવનગર, તળાજા અને જેસર વગેરે તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડયા હતાં.
કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકશાન થવાની શકયતા છે, જેના કારણે ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે તેથી વરસાદ પડવાની શકયતા રહેશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.
જિલ્લાના તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ
તાલુકો વરસાદ (મીલીમીટર)
મહુવા ૩૮
તળાજા પ
જેસર ૩
ભાવનગર, ઘોઘા અને અલંગમાં ૩ નંબરનું સીગ્નલ યથાવત
વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં ત્રણ સ્થળે ૩ નંબરનું સીગ્નલ ગઈકાલ શનિવારથી લગાડવામાં આવ્યુ છે અને આજે રવિવારે પણ ૩ નંબરનું સીગ્નલ યથાવત છે, જેમાં ભાવનગર, ઘોઘા અને અલંગના દરિયાકાંઠાનો સમાવેશ થાય છે તેમ પોર્ટ વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.
કપાસ, મગફળી અને બાગાયતી પાકને નુકશાન થવાની ભીતિ
ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી સહિતના કેટલાક પાકને તેમજ જમરૂખ, સીતાફળ સહિતના કેટલાક બાગાયતી પાકને પણ નુકશાન થઈ શકે છે તેમ જાણકારોએ જણાવ્યુ હતું. કમોસમી વરસાદના પગલે ખેડૂતો હાલત કફોડી થશે તેમ ચર્ચાય રહ્યુ છે.










