![]()
– કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકશાન, ખેડૂતોની કફોડી હાલત
– મહુવામાં 10 ઇંચ, સિહોરમાં સાડા 6 ઇંચ, વલ્લભીપુરમાં 5ઇંચ, જેસરમાં 5 ઇંચ, તળાજામાં 4 ઇંચ વરસાદ નોંધાયો
- ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં શીયાળાની ઋતુમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે, જેના કારણે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં છેલ્લા રર કલાકમાં અડધાથી લઈ ૧૦ ઇંચ કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને પણ ઘણુ નુકશાન થયુ હોવાનુ જણાય રહ્યુ છે તેથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે.
વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે, જેના પગલે છેલ્લા રર કલાકમાં એટલે કે ગઈકાલે રવિવારે રાત્રીના ૧૦ કલાકથી આજે સોમવારે સાંજના ૮ કલાક સુધીમાં ૧૦ તાલુકાઓમાં અડધાથી લઈ ૧૦ ઇંચ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં મહુવામાં ૧૦ ઇંચ, સિહોરમાં સાડા ૬ ઇંચ, વલ્લભીપુરમાં પ ઇંચ, જેસરમાં પ ઇંચ, તળાજામાં ૪ ઇંચ, પાલિતાણાા, ઉમરાળા, ભાવનગર, ગારિયાધાર વગેરે તાલુકામાં ૩ ઇંચથી વધુ અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો તેમ ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે.
જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પડયો છે, જેના કારણે કપાસ, મગફળી, ઘાસચારો, બાગાયતી સહિતના પાકને નુકશાન થયુ હોવાનુ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે. ભારે વરસાદના પગલે રોડ પર તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. કેટલાક રોડ બંધ થઈ ગયા હતા અને કેટલાક પુલ પરથી પાણી વહેતા હતા તેથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વરસાદના કારણે વાહન ચાલકો સહિતની મૂશ્કેલી વધી હતી. ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ શીયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ હાલ ઠંડી પડવાના બદલે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેથી ખેડૂતોની પરેશાની વધી છે. કમોસમી વરસાદના કારણે નુકશાન થતા ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે તેમ જાણકારો જણાવી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે.
પાલિતાણા, ઉમરાળા, ભાવનગર, ગારિયાધાર વગેરે તાલુકામાં ૩ ઇંચથી વધુ અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ પડયો
ભાવનગર, ઘોઘા અને અલંગમાં 3 દિવસથી ૩ નંબરનું સીગ્નલ યથાવત
વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ત્રણ સ્થળે ૩ નંબરનું સીગ્નલ લગાડવામાં આવ્યુ છે અને આજે સોમવારે પણ ૩ નંબરનું સીગ્નલ યથાવત હતુ, જેમાં ભાવનગર, ઘોઘા અને અલંગના દરિયાકાંઠાનો સમાવેશ થાય છે તેમ પોર્ટ વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.










