![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
વાર્ષિક રૃા. ૫૦ લાખથી વધારાની આવક ધરાવતા પ્રોફેશનલ્સ અને રૃા. ૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ઓડિટને પાત્ર બનતી કંપનીઓ અને ભાગીદારી પેઢીઓના રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવી આપવાની જાહેરાત આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કરી છે. ૩૧મી ઓક્ટોબર રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હતી. આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ના રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવી આપવામાં આવી છે.
વાર્ષિક રૃા. ૫૦ લાખથી વધુની આવક ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ સહિતના પ્રોફેશનલ્સને આ નવી જોગવાઈનો લાભ મળશે. આ જ રીતે વાર્ષિક રૃા. ૧ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અને ઓડિટને પાત્ર બનતી ભાગીદારી ેપેઢીઓ સહિતની કંપનીઓને પણ નવા પરિપત્રને કારણે લાભ થશે.
કરવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે ટેક્સ ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવાની અને તેના રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેની સાથે જ ટેક્સ ઓડિટને પાત્ર રિટર્ન ફાઈલ કરવા માટે વધુ ત્રીસ દિવસ મળી ગયા છે. ટેક્સ ઓડિટને પાત્ર રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૧૦મી ડિસેમ્બર કરવામાં આવી છે. આવકવેરા ધારાની કલમ ૧૩૯ની પેટા કલમ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ટેક્સ ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા બાદ તેને આધારે રિપોર્ટ ફાઈલ કરવા માટે બીજી ત્રીસ દિવસનો સમય આપવો જરુરી છે.
ગયા વરસે સીબીડીટીએ ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ઓડિટને પાત્ર કરદાતાઓનું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો નહોતો. પરિણામે આ નિયમની યાદ કરાવીને પખવાડિયા પહેલા જ ગુજરાત હાઈકોર્ટે ઓડિટ રિપોર્ટ અને ઓડિટ રિપોર્ટના અનુસંધાનમાં રિટર્ન ફાઈલ કરનારાઓને ઓડિટ રિપોર્ટ થયા પછી રિટર્ન ફાઈલ કરવા માટે એક માસનો સમય આપવાની જાણ કરતો ચૂકાદો આપ્યો હતો. આવકવેરા ધારાની કલમ ૧૩૯(૧)માં પણ ઓડિટ રિપોર્ટ અપલોડ કર્યા પછી ૩૦ દિવસના ગાળામાં રિટર્ન ફાઈલ કરવાનો સમય આપવામાં આવે છે.










