![]()
શહેરના રાજમાર્ગો પર આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળશે. માંડવી દરવાજા નીચેથી વરઘોડો પસાર કરવાની પરંપરા જળવાઈ રહે તે માટે માંડવીના બેરિકેડ દૂર કરાયા હતા.
દર વર્ષે દેવઊઠી એકાદશીથી દેવ દિવાળી સુધી શહેરના ચાર મુખ્ય ઐતિહાસિક મંદિરો – વિઠ્ઠલનાથજી, રણછોડજી, રામજી અને નરસિંહજીના વરઘોડા માંડવી દરવાજામાંથી પસાર થાય છે. આ પરંપરા વડોદરાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. પરંતુ આ વર્ષે માંડવી દરવાજા જર્જરીત હાલતમાં હોવાથી કોર્પોરેશન દ્વારા સુરક્ષા હેતુસર બેરીકેડ લગાવી બંધ કરી દેવામાં આવ્યો હતો. પરિણામે વિઠ્ઠલનાથજીનો વરઘોડો દરવાજાની નીચેથી પસાર ન થઈ શકે એવી દહેશત ભક્તોમાં ફેલાઈ હતી. પરંતુ પરંપરા જાળવવા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક કાઉન્સિલરોએ માંડવીની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા બાદ બેરીકેડ હટાવવાનો નિર્ણય લીધો હતો. શનિવારે વહેલી સવારે જ બેરીકેડ હટાવવાની કામગીરી હાથ ધરાતા ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. હવે આજે વિઠ્ઠલનાથજીનો વરઘોડો વાજતે ગાજતે ભક્તિગીતોના સ્વર વચ્ચે માંડવી દરવાજાની નીચેથી વિધિપૂર્વક પસાર થશે. વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિ ઓમ વ્યાસે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.










