![]()
– સિનિયર સિટિઝનને વધુ નિશાન બનાવાઇ રહ્યા છે
– જો અમે આકરા પગલાના આદેશ જારી ના કર્યા તો સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે ડિજિટલ એરેસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પીડિતોને છેતરીને ત્રણ હજાર કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે સિનિયર સિટિઝનને વધુ ટાર્ગેટ કરવામાં આવ્યા. આ બધુ જ ડિજિટલ એરેસ્ટ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ડિજિટલ એરેસ્ટ દ્વારા લોકોને પરેશાન કરનારા આરોપીઓ સામે આક્રામક વલણ અપનાવવા સરકારને કહ્યું છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આપણા દેશમાં પીડિતો પાસેથી ૩૦૦૦ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા જે અત્યંત ચિંતાજનક બાબત છે. જો આ પ્રકારની ઘટનાઓ ટાળવામાં આવતી રહી અને કડક કાર્યવાહી માટે આકરા આદેશ નહીં આપીએ તો સમસ્યા વધી શકે છે.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે સૌથી ખતરનાક વાત એ છે કે મોટાભાગના પીડિતો વૃદ્ધ વયના છે. ગૃહ મંત્રાલયમાં એક સ્પેશિયલ યુનિટ છે જે આ પ્રકારની ફરિયાદોની તપાસ કરે છે. તેમણે વિસ્તૃત રિપોર્ટ ફાઇલ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી.
મામલા પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવા માટે ડોમેન એક્સપર્ટ્સની જરૂર પડી શકે છે. આ એક બહુ જ મોટો પડકાર છે. ચોંકાવનારુ છે, અમને એ નથી ખ્યાલ કે અન્ય દેશોમાં શું થઇ રહ્યું છે, નાણાકીય અને ટેક્નીકલ પિલર કેવી રીતે કામ કરે છે તે નથી ખ્યાલ પરંતુ તેની ક્ષમતા વધારવાની જરૂર છે. જો આકરા આદેશ જારી ના કર્યા તો સમસ્યા વધી શકે છે.
આ મુદ્દે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવશે. હવે આ મામલે ૧૦મી નવેમ્બરના રોજ વધુ સુનાવણી કરાશે.










