![]()
Election Commission and SIR Process : ચૂંટણી પંચે મંગળવારથી દેશના 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ લગભગ 51 કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃચકાસણી કરવામાં આવશે.
શું છે SIR નો ઉદ્દેશ્ય
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી બોગસ નામો દૂર કરવાનો અને ખાસ કરીને ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓને ઓળખીને બહાર કરવાનો છે. આ પ્રક્રિયા બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.
કયા કયા રાજ્યોમાં શરૂ થશે SIR પ્રક્રિયા
આ SIR અભિયાન વાર્ષિક સુધારણા (SSR) કરતાં અલગ છે. SSRમાં માત્ર નવા નામ ઉમેરવા, કમી કરવા કે સુધારવા માટે અરજી કરવાની હોય છે, જ્યારે SIRમાં મતદાર યાદીમાં સામેલ દરેક વ્યક્તિની નવેસરથી ચકાસણી કરવામાં આવે છે. આ અભિયાન ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બંગાળ અને તમિલનાડુ, છત્તીસગઢ, અંદમાન અને નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, ગોવા, કેરળ, પુડ્ડચુરી જેવા મોટા રાજ્યોમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પ્રક્રિયા સામે વિરોધ શરૂ
જોકે, આ અભિયાનને લઈને રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ SIRના વિરોધમાં આજે કોલકાતામાં એક માર્ચનું આયોજન કર્યું છે. બીજી તરફ, ભાજપ આ પગલાનું સમર્થન કરી રહ્યું છે અને તેને ઘૂસણખોરોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જરૂરી ગણાવી રહ્યું છે. તમિલનાડુમાં સત્તારૂઢ ડીએમકે (DMK) પાર્ટીએ તો આ અભિયાનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે.










