![]()
Ahmedabad Plane Crash News: ગત 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા પેસેન્જર વિશ્વાસ કુમાર રમેશે પોતાને જીવતા બચવા બદલ ભાગ્યશાળી ગણાવ્યા છે, પરંતુ સાથે જ કહ્યું કે આ ત્રાસદી બાદ તેઓ હજુ પણ ગંભીર માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે. લંડન જઈ રહેલી AI-171 ફ્લાઈટના કાટમાળમાંથી જીવતા બહાર નીકળેલા વિશ્વાસ કુમારે જણાવ્યું કે તેઓ હવે એકલા રહે છે અને પોતાની પત્ની તથા પુત્ર સાથે પણ વાત કરતા નથી.
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે આ દુર્ઘટનામાં તેમનો નાનો ભાઈ અજય, જે તેમનાથી થોડીક જ સીટ દૂર બેઠો હતો, તેનું પણ મૃત્યુ થયું છે. આંખોમાં આંસુ સાથે રમેશે કહ્યું, ‘હું એકલો જ જીવતો બચ્યો છું, હજુ પણ વિશ્વાસ થતો નથી. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મારો ભાઈ મારી કરોડરજ્જુ હતો, તેણે હંમેશા મારો સાથ આપ્યો, અને હવે હું બિલકુલ એકલો પડી ગયો છું.’
‘હું પોતે કોઈની સાથે વાત કરતો નથી’
તેમણે કહ્યું કે તેઓ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ ભારતથી પરત ફર્યા બાદ હજુ સુધી તેમનો ઈલાજ શરૂ થયો નથી. મારા અને મારા પરિવાર માટે આ બધું ખૂબ મુશ્કેલ છે. મારી માતા આખો દિવસ દરવાજા બહાર બેસી રહે છે, કોઈની સાથે વાત કરતી નથી. હું પોતે પણ કોઈની સાથે વાત કરવા માંગતો નથી. દરરોજ દર્દમાંથી પસાર થઉં છું.’
તેમણે જણાવ્યું કે વિમાનના તૂટેલા ભાગમાંથી સીટ 11A પરથી બહાર નીકળતી વખતે તેમને પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેઓ હવે ન તો કામ કરી શકે છે કે ન તો ગાડી ચલાવી શકે છે. તેઓ ખૂબ ધીમે ધીમે ચાલે છે અને તેમની પત્ની તેમને સહારો આપે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પતિએ જાહેરમાં પત્ની પર છરી વડે કર્યો જીવલેણ હુમલો, મહિલા ગંભીર, ઘટના CCTVમાં કેદ
કમ્યુનિટી લીડર સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સિગરે વિશ્વાસ કુમાર રમેશને મળી રહેલા સમર્થનના અભાવ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ‘તેઓ માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં છે. આ દુર્ઘટનાએ તેમના આખા પરિવારને તબાહ કરી દીધો છે. જેમની જવાબદારી છે, તેમણે પીડિતોને મળીને તેમની વાત સાંભળવી જોઈએ.’
વિમાન દુર્ઘટના બાદ વેપાર પણ ઠપ્પ
દમણ-દીવમાં વિશ્વાસ કુમાર રમેશ અને તેમના ભાઈ દ્વારા ચલાવવામાં આવતો પારિવારિક માછલીનો વ્યવસાય પણ આ દુર્ઘટના બાદ ઠપ્પ થઈ ગયો છે. બીજી તરફ, સિગરે એર ઈન્ડિયા પર આરોપ લગાવ્યો કે મુલાકાતના તમામ અનુરોધને અવગણવામાં આવ્યા અથવા નકારી કાઢવામાં આવ્યા. આ ખૂબ જ શરમજનક છે કે આજે અમારે અહીં બેસીને કુમાર વિશ્વાસ રમેશને ફરીથી એ જ દર્દમાંથી પસાર થતા જોવા પડી રહ્યા છે. એર ઈન્ડિયાના અધિકારીઓએ આગળ આવીને વાત કરવી જોઈએ, જેથી પીડા ઓછી કરી શકાય.’
એર ઈન્ડિયા જે હવે ટાટા જૂથની માલિકી હેઠળ છે, તેણે જણાવ્યું કે તેમના વરિષ્ઠ અધિકારીઓ સતત પીડિત પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, અમે કુમાર વિશ્વાસ રમેશના પ્રતિનિધિઓ સાથે બેઠકનો પ્રસ્તાવ મૂક્યો છે અને સકારાત્મક જવાબની આશા રાખી રહ્યા છીએ.
એર ઈન્ડિયાએ 25 લાખનું વળતર આપ્યું
એર ઈન્ડિયાએ કુમાર વિશ્વાસ રમેશને અસ્થાયી રૂપે £21,500 (આશરે રૂ.25.09 લાખ)નું વળતર આપ્યું છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. પરંતુ તેમના સલાહકારોનું કહેવું છે કે આ રકમ તેમની વર્તમાન જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ ઓછી છે.










