![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા ભવનનું તો લોકાર્પણ ગત મહિને થઈ ગયુ છે પણ ૨૦૧૮થી ડોનર્સ પ્લાઝા ખાતે બની રહેલું ફાર્મસી ફેકલ્ટીનું બિલ્ડિંગ હજી સુધી કાર્યરત થયું નથી.આ બિલ્ડિંગ પાછળ ૧૫ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.
યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝા ખાતે ૨૦૧૮માં આ બિલ્ડિંગનો શિલાન્યાસ કરાયો હતો.એ પછી સત્તાધીશોના રગશિયા ગાડા જેવા વહીવટના કારણે બિલ્ડિંગ બનતા-બનતા ૨૦૨૪નું વર્ષ આવી ગયું હતું.હવે બિલ્ડિંગ તૈયાર છે, ફર્નિચર પણ બની ગયું છે.પાણી અને ગટરની લાઈન પણ નંખાઈ ગઈ છે.જોકે સૂત્રોનું કહેવું છે કે, લેબોરેટરીનું કેટલુક ફર્નિચર અને એસી ખરીદવામાં ગોકળગાયની ગતિએ કામગીરી થઈ રહી હોવાથી આ બિલ્ડિંગને કાર્યરત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.યુનિવર્સિટી સત્તાધીશોના ખાડે ગયેલા વહીવટનો આ વધુ એક નમૂનો છે.આ બિલ્ડિંગ બનાવવાનું શરુ થયું તે પછી બે વાઈસ ચાન્સેલર બદલાઈ ગયા અને હવે ત્રીજા વાઈસ ચાન્સેલર આવી ગયા છે પણ હજી સુધી સત્તાધીશો આ બિલ્ડિંગનું લોકાર્પણ કરી શક્યા નથી.
વીસીના હાથે પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન કરાયું પણ બિલ્ડિંગ હજી ખાલી
વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ ચાર્જ લીધો તે જ દિવસે તેમની પાસે યુનિવર્સિટીના નવા પરીક્ષા ભવનનું લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું.આ બિલ્ડિંગમાં તમામ ફેકલ્ટીઓના ઉત્તરવહીઓ ચકાસવા માટેના એસેસમેન્ટ સેલ અને પરીક્ષાની બીજી કામગીરી ખસેડવાની યોજના છે.જોકે લોકાર્પણ પછી હજી સુધી આ બિલ્ડિંગમાં કોઈ કામગીરી શરુ કરાઈ જ નથી.એક માત્ર જોઈન્ટ રજિસ્ટ્રારની વિશાળ ઓફિસને બાદ કરતા ઉદઘાટન પછી પણ બિલ્ડિંગ એવું ને એવુ જ છે.માત્ર વાઈસ ચાન્સેલરને પ્રભાવિત કરવા ઉદઘાટન કરાવાયું હોય તેમ લાગે છે.










