![]()
Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા આગામી 6 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને તે માટે સફાઈની કામગીરી પણ શરૂ થઈ છે. જોકે, એક શાળાના સફાઈ કામદારના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી સફાઈની સમસ્યા થઈ હતી. સફાઈ કામદારની વ્યથા જાણીને શાળાના શિક્ષકો અને વાલીઓએ હાથમાં ઝાડુ અને પોતા લઈને શાળાની સફાઈની કામગીરી શરુ કરી દીધી હતી અને એક જ દિવસમાં શાળાને ચોખ્ખી ચણાક કરી દીધી હતી.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પડેલું દિવાળી વેકેશન પુરું થવા જઈ રહ્યું છે અને 6 નવેમ્બરથી શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. પખવાડિયા કરતા વધુનું દિવાળી વેકેશન હોવાથી શાળાની સફાઈ જરૂરી છે અને અનેક શાળામાં સફાઈ કામદારો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ કતારગામ શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાની સફાઈની કામગીરી કરે છે તે સફાઈ કામદારના ઘરે સામાજિક પ્રસંગ છે અને તેમાં તેઓ વ્યસ્ત છે. આ અંગેની જાણ શાળાના આચાર્યને થતા તેઓએ અન્ય શિક્ષકોને વાત કરી હતી.
શિક્ષકોએ વાલીઓ સમક્ષ વાત મુકી હતી અને વાલીઓ અને શિક્ષકોએ ભેગા મળીને શાળા સફાઈની કામગીરી ઉપાડી લીધી હતી. વાલી અને શિક્ષકોએ શાળાના વર્ગખંડ, ટોયલેટ બ્લોક અને કમ્પાઉન્ડ સહિતની જગ્યાએ વાળી અને પોતા કરીને ચોખ્ખી કરી દીધી હતી. શિક્ષકો અને વાલીઓના ટીમવર્કથી શાળાની સફાઈની કામગીરી થઈ ગઈ છે અને આવી સ્વચ્છ શાળામાં 6 નવેમ્બરથી બાળકો અભ્યાસ શરૂ કરી શકશે.










