Mahadev App Scam: ₹6000 કરોડના મહાદેવ બેટિંગ એપ મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ગાયબ થઈ ગયો છે, જેના કારણે ભારત અને UAE વચ્ચેના સંબંધોમાં તણાવના સંકેત મળ્યા છે. તેમજ EDની પ્રત્યાર્પણ અરજી પેન્ડિંગ હોવા છતાં, ઉપ્પલની મુક્તિથી ભારતીય એજન્સીઓ આશ્ચર્યચકિત છે. UAEએ તેની મુક્તિ કે નવા ઠેકાણા વિશે ભારતને કોઈ જાણકારી આપી નથી.
ઉપ્પલ મહાદેવ એપના ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટનો મુખ્ય સંચાલક હોવાથી તેની ધરપકડ મોટી સફળતા ગણાતી હતી. ED અને CBI જેવી એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે, જેમાં કથિત રીતે ₹500 કરોડથી વધુની લાંચ પૂર્વ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે જોડાયેલી હોવાનો પણ ખુલાસો થયો હતો.
ડિસેમ્બર 2023માં થઈ હતી ધરપકડ
મીડિયા અહેવાલો અનુસાર, ડિસેમ્બર 2023માં ઇન્ટરપોલના રેડ કોર્નર નોટિસને પગલે દુબઈ પોલીસે રવિ ઉપ્પલની ધરપકડ કરી હતી. આ ધરપકડ પછી ભારત સરકારે સત્તાવાર રાજદ્વારી માધ્યમો દ્વારા UAEને તરત જ પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી.
જોકે, હવે આ મામલો વિવાદમાં છે. ભારતીય દસ્તાવેજો દર્શાવે છે કે પ્રત્યાર્પણની વિનંતી સમયસર અને ચકાસણી યોગ્ય પુરાવાઓ સાથે UAEને મોકલાઈ હતી, પરંતુ UAEના અધિકારીઓએ પાછળથી આ વિનંતી મળી ન હોવાનો દાવો કરીને ઉપ્પલને મુક્ત કરી દીધો.
ઉપ્પલની મુક્તિ પર ભારતનું આશ્ચર્ય
ભારતીય અધિકારીઓ મુજબ, UAEનો દાવો તેમના પોતાના દસ્તાવેજોની વિરુદ્ધ છે. એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે MEAના દિશાનિર્દેશો મુજબ, ધરપકડના 45થી 60 દિવસમાં પ્રત્યાર્પણ વિનંતી મોકલવી ફરજિયાત છે અને આરોપી મુક્ત થયા પછી પણ ફરી ધરપકડ અને પ્રત્યાર્પણ શક્ય છે.
આ પણ વાંચો: યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ
આ ગૂંચવણ વચ્ચે EDએ વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે કે આ મામલાને સર્વોચ્ચ રાજદ્વારી સ્તર પર ઉઠાવાય, જેથી UAE પ્રત્યાર્પણ સંધિની શરતોનું પાલન કરે. અધિકારીઓ આશ્ચર્યમાં છે કે ઔપચારિક પ્રત્યાર્પણ વિનંતી પેન્ડિંગ હોવા છતાં અને ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ સક્રિય હોવા છતાં, આ હાઈ-પ્રોફાઇલ આરોપીને કસ્ટડીમાંથી કેવી રીતે મુક્ત કરી દેવાયો.
મહાદેવ એપ કૌભાંડ
મહાદેવ ઓનલાઈન એપનો ઉપયોગ ભારતમાં ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી, હવાલા અને મની લોન્ડરિંગ માટે થતો હતો. આ નેટવર્ક ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી. MEA હવે UAE પાસેથી ઔપચારિક સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યું છે. સૂત્રો મુજબ, ભારત આ મામલાને રાજદ્વારી સ્તરે ઉઠાવવાની તૈયારીમાં છે, જેથી UAE સ્પષ્ટ કરે કે રવિ ઉપ્પલને કેમ મુક્ત કરાયો અને તે હાલમાં ક્યાં છે.











