Bridal Beauty Tips: લગ્નનો દિવસ દરેક છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક દુલ્હન સૌથી સુંદર દેખાવા માંગે છે. મહેંદી, સંગીતથી લઈને રિસેપ્શન સુધીના દરેક ફંક્શનમાં તે ઈચ્છે છે કે તેનો ચહેરો ચમકતો રહે. જોકે, બ્યુટી પાર્લર જવાનો સમય કે બજેટ દરેકની પાસે હોતું નથી. આવા સંજોગોમાં ઘરેલું નુસખા તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે.
જૂના જમાનાથી ચાલી આવતા આ નુસખા ત્વચાને કોઈ પણ કેમિકલ વગર કુદરતી ગ્લો આપવામાં મદદ કરી શકે છે. જો તમે પણ પાર્લર ગયા વિના નિખાર મેળવવા માંગતા હોવ, તો આ જાણકારી ખાસ તમારા માટે છે. આવો જાણીએ કેટલાક એવા અસરકારક નુસખાઓ, જે ફાયદાકારક સાબિત થશે.
1. હળદર અને ચંદનમાંથી બનેલું ઉબટન
હળદર અને ચંદનમાંથી બનેલું આ ઉબટન ત્વચા પર કુદરતી ચમક લાવે છે અને સ્કિન ટોન સુધારે છે. આ માટે હળદરમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો મદદ કરે છે, જે પિગમેન્ટેશન ઘટાડીને ત્વચાને નિખારી આપે છે. વળી, ચંદન પાવડર સાથેના આ મિશ્રણના ઉપયોગથી છિદ્રો (Pores) બંધ કરવામાં તથા કરચલીઓની સમસ્યા ઘટાડવામાં પણ સહાય મળે છે.
2. મગની દાળ અને બેસનમાંથી બનેલું ઉબટન
મગની દાળ અને બેસનનું ઉબટન ત્વચાને અંદરથી પોષણ આપે છે. તેમાં વિટામિન A, B અને C ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને નિખારે છે અને સ્કિન ટોન સુધારે છે. આ ઉબટનને રોજ લગાવવાથી પિગમેન્ટેશન અને નિસ્તેજતા ઓછી થાય છે અને ચહેરા પર બ્રાઇડલ ગ્લો આવે છે.
3. બદામ અને દૂધમાંથી બનેલું ઉબટન
બદામ ત્વચાને જરૂરી પોષક તત્ત્વો આપીને તેને સ્વસ્થ અને ફ્રેશ બનાવે છે. તે ખીલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેને બનાવવા માટે થોડી બદામને થોડા કલાકો માટે દૂધમાં પલાળી દો, પછી તેની છાલ ઉતારીને થોડું દૂધ ભેળવીને પીસી લો. આ ઉબટન ત્વચાને એક્સફોલિએટ કરે છે, ટેનિંગ દૂર કરે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.
આ પણ વાંચો: ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર
4. ઓટમીલ અને બેસનમાંથી બનેલું ઉબટન
ઓટમીલ સેન્સિટીવ સ્કિન માટે ઉત્તમ છે કારણ કે તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને હળવું એક્સફોલિએશન આપે છે. જ્યારે તેમાં બેસન ભેળવવામાં આવે છે, ત્યારે તે વધારાનું તેલ દૂર કરીને ત્વચાને સાફ કરે છે. આ મિશ્રણ ચહેરાની રંગત સુધારે છે, સ્કિન ટોન સારો કરે છે, ખીલ ઘટાડે છે અને ત્વચાનું PH સંતુલન સુધારે છે.
5. લીમડો અને એલોવેરામાંથી બનેલો ફેસ પેક
લીમડાના પાનનો ઉપયોગ વર્ષોથી ખીલમાંથી રાહત મેળવવા માટે થતો આવ્યો છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો હોય છે જે ત્વચાને સ્વચ્છ અને ચેપમુક્ત રાખે છે. તાજા લીમડાના પાનનો પાવડર બનાવીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો અને ચહેરા પર લગાવો. આ પેક ત્વચાને સ્વચ્છ, સ્વસ્થ અને ખીલમુક્ત રાખે છે.






