![]()
Ajit Pawar Land Case: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દીકરા પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા 300 કરોડના કથિત જમીનના કરારમાં થયેલા કૌભાંડમાં શુક્રવારે (7 નવેમ્બર) વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
જમીન સરકારી, વેચી ન શકાય
મહારાષ્ટ્રના જોઇન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન રાજેન્દ્ર મુથેએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે, પુણેની આ 40 એકર જમીન રાજ્ય સરકારની માલિકીની છે અને તેને કોઈ પણ સંજોગોમાં વેચી શકાતી નથી. આ જમીનના વેચાણમાં કથિત ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
મુથેએ જણાવ્યું કે, “7/12 દસ્તાવેજમાં મુંબઈ સરકાર (પૂર્વની બોમ્બે સરકાર)ને માલિક દર્શાવવામાં આવ્યા છે. પાવર ઑફ એટર્ની ધરાવનાર વ્યક્તિ કોઈપણ કિંમતે જમીન વેચી શકે નહીં. અમે તમામ બાબતોની તપાસ કરી રહ્યા છીએ અને સાત દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપીશું.”
ફરિયાદ અને આરોપીઓ
આ જમીન મુંધવા વિસ્તારની 40 એકર સરકારી જમીન છે. આ કરાર પાર્થ પવાર અને દિગ્વિજય પાટીલની માલિકીની અમાડિયા એન્ટરપ્રાઇઝેસ LLP અને પાવર ઑફ એટર્ની ધારક શીતલ તેજવાની વચ્ચે થયો હતો.
શુક્રવારે પોલીસમાં પાર્થ પવારના વ્યવસાયિક ભાગીદાર દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની અને સસ્પેન્ડ થયેલા મામલતદાર સૂર્યકાંત યેવાલે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે મહાનિરીક્ષક રજિસ્ટ્રાર કાર્યાલય દ્વારા દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની અને સબ-રજિસ્ટ્રાર આર. બી. તારૂ વિરુદ્ધ ગબન અને છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર ડૂડીએ આ મામલો આર્થિક ગુના શાખા (EOW)ને સોંપ્યો છે.
કરાર રદ કરાયો: અજિત પવાર
અજિત પવારે શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, તેમના પુત્ર પાર્થ અને તેમના વ્યવસાયિક ભાગીદારને જાણ નહોતી કે તેમની કંપની દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકારી છે. હવે જાણ થતા જ તેમણે આ કરાર રદ કરી દીધો છે. આ મામલે તપાસ માટે રચાયેલી સમિતિ એક મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે.
આ પણ વાંચોઃ નાણા ખર્ચવાના ટાસ્કમાં AI નિષ્ફળ! માઈક્રોસોફ્ટે ફેક પૈસા આપ્યા તો એણે કૌભાંડ પાછળ ખર્ચ્યા!
વતન સિસ્ટમની જમીન
આ 40 એકર જમીન મૂળ મહાર સમુદાયના 272 માલિકો તરફથી શીતલ તેજવાની પાસે પાવર ઑફ એટર્ની હતી. આઝાદી પહેલા રાજ્યના આ ગામમાં વતન સિસ્ટમ હેઠળ, અમુક સેવાઓના બદલામાં રોકડને બદલે જમીન અથવા રેવન્યુના અધિકાર મળતા હતા.
અન્ના હજારેની ટિપ્પણી
ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા અન્ના હજારેએ આ કરાર પર ટિપ્પણી કરતા કહ્યું કે, “જો મંત્રીઓના સંતાનો ખોટા કામ કરે છે, તો તેના માટે મંત્રીઓને જ દોષી ઠેરવવા જોઈએ.”










