![]()
– L-e-T અને જે.ઇ.એમ. પાકના હાથમાં નથી ?!
– L-e-T અને J-e-M એ કરેલા હુમલા પછી પાક. કેબિનેટની મિટીંગ : ભારતની કેબિનેટ મિટીંગમાં ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ અને વિત્ત મંત્રી ઉપસ્થિત રહ્યા
નવી દિલ્હી : દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા બૉમ્બ વિસ્ફોટ પછી વડાપ્રધાન મોદીએ નિશ્ચયાત્મક પગલા લેવાની ‘પ્રતિજ્ઞા’ લેતા પાકિસ્તાન ગભરાઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘માત્ર ૨૪ કલાકમાં જ બે વખત હુમલા કરનાર ત્રાસવાદીઓ અને તેની પાછળ રહેલા ‘માસ્ટર માઇન્ડ’ને હવે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.’
પ્રાથમિક તપાસમાં જ જાણવા મળ્યું છે કે, દિલ્હી હુમલાઓ અને પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જ સીધો સંબંધ છે. આ સાથે પાકિસ્તાનમાં તંગદિલી વધી ગઈ છે તે સમજી ગયું છે કે ભારત હવે વળતો હુમલો કરશે જ.
આથી પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે પ્રમુખ આસિફ અલી ઝરદારીની ઉપસ્થિતિમાં કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓની મિટિંગ બોલાવી હતી તેમાં આંતરિક બાબતોના મંત્રી મોહસિન નકવી, કાનૂન મંત્રી આઝીમ નાસીર તરાર અને પૂર્વ વડાપ્રધાન યુસુફ રાઝા ગિલાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગ પૂર્વે જ પાકિસ્તાની કેબિનેટના કેટલાય મંત્રીઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, હવે દેશ ભારત સાથેના ‘યુદ્ધની સ્થિતિ’માં આવી ગયો છે. આરોગ્ય મંત્રી સૈયદ મુસ્તફા કમાલે કહ્યું હતું કે, ‘મેથી શરૂ થયેલો ભારત- પાક. સંઘર્ષ હજી ચાલે જ છે તે બંધ નથી થયો અને દિલ્હી વિસ્ફોટ પછી સરહદે તંગદિલી વધુ તીવ્ર બની છે.’
પાકિસ્તાનમાં પરિસ્થિતિ એટલી હદે તંગ બની ગઈ છે કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે યુદ્ધ કરવાથી દૂર રહેવા જણાવ્યું. ખ્વાજા- આસિફે તેમ પણ કહ્યું હોવાનું મનાય છે કે, પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરી શકે તેવી તેની આર્થિક સ્થિતિ જ નથી. અફઘાન સામે પણ યુદ્ધ કરી શકે તેટલી આર્થિક ક્ષમતા નથી.
બીજી તરફ લાલ-કિલ્લા મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે થયેલા આ બોમ્બ વિસ્ફોટ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭, લોકકલ્યાણ માર્ગ સ્થિત પોતાના નિવાસસ્થાને ‘કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીઝ’ (CCS) ની તાત્કાલિક મિટીંગ બોલાવી હતી આ સી.સી.એસ.માં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને વિત્ત મંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતાં.
મિટીંગના પ્રારંભ પૂર્વે સર્વેએ બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટનું મૌન પાળ્યું હતું.
આ મિટીંગમાં કેબિનેટે આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને જાસૂસી સંસ્થાઓને તે હુમલો કોણે કરાવ્યો છે તે શોધી કાઢવા અનુરોધ કર્યો હતો.
નિરીક્ષકોનું અનુમાન છે કે, હવે તુર્ત જ સેનાઓના વડાઓની સાથે સઘન મંત્રણા શરૂ થઈ જશે. પછી સંભવત: વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની મુલાકાત લેશે.
ટુંકમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બનાવી દીધી છે. તે તો નિશ્ચિત છે. નિરીક્ષકો તેમ પણ માને છે કે એલ-ઇ-ટી અને જે.ઇ.એમ. ઉપર હવે પાક. સરકારનો કાબૂ રહ્યો હોય તેમ લાગતું નથી. વાસ્તવમાં પાકિસ્તાનના લશ્કરી વડા અને લશ્કર જ આવા હુમલા કરાવી ભારતમાં દહેશત ફેલાવવાનો મિથ્યા ‘યત્ન’ કરે છે.










