PM Modi on Bihar Election: બિહાર ચૂંટણીની જીત બાદ પીએમ મોદીએ ભાષણ આપતી વખતે કોંગ્રેસ પર પણ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ‘હવે કોંગ્રેસની રાજનીતિનો આધાર માત્ર નકારાત્મક રાજનીતિ બની ગયો છે. ‘ચોકીદાર ચોર’નો નારો, સંસદનો સમય બરબાદ કરવો, EVM પર હુમલો કરવો, ક્યારેક ચૂંટણી પંચને ગાળો આપવી, જ્ઞાતિ અને ધર્મના આધારે લોકોમાં વિભાજન કરવું, એ જ કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસ પાસે દેશ માટે કોઈ સકારાત્મક વિઝન નથી.’ આ દરમિયાન વડાપ્રધાને રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા અને આશંકા વ્યક્ત કરી કે આગળ જતા કોંગ્રેસમાં વધુ એક મોટો ભાગલો પડી શકે છે.
નજીકના ભવિષ્યમાં મોટા વિભાજનની આશંકા
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘હાલમાં કોંગ્રેસ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ જેવી બની ગઈ છે અને તેનો સંપૂર્ણ કાર્યસૂચિ આ વિચારધારાની આસપાસ જ કેન્દ્રિત છે. આના પરિણામે, કોંગ્રેસની અંદર એક નવું જૂથ ઉભરી રહ્યું છે જે આ નકારાત્મક રાજનીતિથી અસહમતી ધરાવે છે. કોંગ્રેસના ‘નામદાર’ નેતૃત્વ પક્ષને જે માર્ગે દોરી રહ્યું છે, તેના કારણે કાર્યકર્તાઓમાં ગહન નિરાશા અને ગુસ્સો વધી રહ્યો છે.’
વડાપ્રધાને ફરીથી એ જ આશંકાવ્યક્ત કરી કે, ‘મને શંકા છે કે કદાચ નજીકના ભવિષ્યમાં કોંગ્રેસમાં વધુ એક મોટું વિભાજન થઈ શકે છે. કોંગ્રેસના સહયોગી પક્ષો પણ હવે એવું માની રહ્યા છે કે કોંગ્રેસ બધાને નકારાત્મકતા તરફ લઈ જઈ રહી છે. એટલું જ નહીં, આ પાર્ટી પોતાના સહયોગીઓની વોટબેન્ક હડપીને પોતાનો વિસ્તાર કરી રહી છે.’
આ પણ વાંચો: માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ?
ભાજપના ધારાસભ્યોની સંખ્યા કોંગ્રેસના કુલ MLA કરતાં વધુ
જનતાના વિશ્વાસ અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ‘જે પક્ષે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું, તેના પરનો જનતાનો વિશ્વાસ સતત ઓછો થઈ રહ્યો છે. કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં વર્ષોથી સત્તામાંથી દૂર છે. ઉપરાંત, છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સો બેઠકોનો આંકડો પણ સ્પર્શી શકી નથી. 2024ની લોકસભા ચૂંટણી પછી દેશના 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને તે બધામાં પણ કોંગ્રેસ 100 બેઠકોનો આંકડો પાર કરી શકી નથી. આજે પણ, કોંગ્રેસે છેલ્લી 6 વિધાનસભા ચૂંટણીઓમાં જીતેલા કુલ ધારાસભ્યોની સંખ્યા કરતાં અમારા ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા વધારે છે.’











