![]()
– પાયાના શિક્ષણ સુધારણા અંતર્ગત ભરતીને મોકલાશ
– ભાષા, સા.વિ. કરાર આધારિત અને ગણિત-વિજ્ઞાનના મળી કુલ 1100 થી વધુ શિક્ષકોની ભરતી કરાઇ
ભાવનગર : શિક્ષણમાં પ્રાથમિક વિભાગ એ પાયાનું જ્ઞાન પીરસે છે ત્યારે આ પાયો મજબુત બનાવવા શિક્ષકોની અહેમ ભૂમિકા હોય છે. જ્યારે જિલ્લાની સરકારી પ્રા.શાળાઓમાં લાંબા સમયથી ઘટ ખેંચાતી આવતી હતી જેમાં સરકારે અને નાણાં વિભાગે પેળી હળવી કરતા ટૂંકા સમયગાળામાં કાયમી અને કરાર આધારિત ૧૧૦૦થી વધુ જગ્યાઓ ભરાઇ છે. ગઇકાલે ગણિત-વિજ્ઞાન વિષયના ૧૫૫ શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
ભાવનગર જિલ્લાની ૯૧૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતા શિક્ષકો દ્વારા અભ્યાસ કાર્ય થાય તે હેતુ લાંબા સમય બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી પૂર્વે ભાષાના મંજુર કરાયેલ ૧૫૦ અને સામાજિક વિજ્ઞાાનના વિષયના ૧૧૪ ખાલી જગ્યાઓ પર સ્થળ પસંદગી કરી નિમણૂક પત્રો અપાયા હતાં. જ્યારે ૭૦૨ કરાર આધારિત નિમણૂકો કરાઇ હતી. જ્યારે પ્રા.શાળામાં મહત્વના વિષય એવા ગણિત-વિજ્ઞાનની કુલ ૨૨૩ જગ્યાઓ ખાલી છે જેના પર નિમણૂક પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી હતી જેમાં કુલ ૧૬૪ જગ્યાઓની મંજુરી શિક્ષણ વિભાગ દ્વારા અપાઇ હતી અને તા.૨૦મીએ સ્થળ પસંદગી કેમ્પનું પણ આયોજન સમગ્ર શિક્ષા કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં મેરીટમાં આવેલ ૧૬૪ પૈકી ૧૫૫ શિક્ષક ઉમેદવારો હાજર રહ્યા હતા અને પોતાના સ્થળની પસંદગી કરાઇ હતી. જ્યારે ૯ ઉમેદવાર ગેરહાજર રહ્યાં હતાં. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતનાની ઉપસ્થિતિમાં હાજર રહેલ તમામ ૧૫૫ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા હતાં. જેઓને દિવસ-૭માં જે-તે સ્થળે હાજર થવાનું જણાવાયું છે. આમ કરાર આધારિત ૭૦૨, ભાષાના ૧૫૦, સા.વિ.ના ૧૧૪ અને હાલ ગણિત-વિજ્ઞાનના ૧૫૫ મળી જિલ્લાની પ્રા.શાળાઓમાં ૧૧૦૦થી વધુ શિક્ષકોની નિમણૂક કાર્યવાહી પૂર્ણ થઇ હતી.










