Tana-Riri Festival : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનો આજે(22 નવેમ્બર) શુભારંભ થયો છે. વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે આ મહોત્સવમાં દેશના સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય સંગીત, વાદન અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે.

તાના-રીરી મહોત્સવનો શુભારંભ
તાના-રીરી મહોત્સવનો આજે શનિવારે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ એનાયત કર્યો. મહોત્સવના પહેલા દિવસે એવોર્ડ વિજેતા સુશ્રી કલાપિની કોમકલી, પ્રસિદ્ધ સિતારવાદક નિલાદ્રીકુમાર અને સિંગર ઈશાની દવેએ શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકગીતોની મધુર પ્રસ્તુતિ રજૂ કરી હતી.
આવતીકાલે 23 નવેમ્બરના રોજ ડૉ. સુભદ્રા દેસાઇ, નિનદ અધિકારી અને ટીમ, પાર્થ ઓઝા અને ટીમ દ્વારા શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ કરવામાં આવશે.
કોણ હતા તાના-રીરી? સંગીત સમર્પણની અમર ગાથા
તાના અને રીરી એ ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી. તેમની સંગીત પ્રત્યેની નિષ્ઠાએ તેમને ગુજરાતના ઇતિહાસમાં અમર બનાવી દીધી.
લોકવાયકા મુજબ, સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ ગાયો, ત્યારે તેમના શરીરમાં દાહ (બળતરા) ઉત્પન્ન થયો હતો. આ દાહને શાંત કરવા માટે માત્ર મલ્હાર રાગ જ અસરકારક હતો. તાનસેનની પીડા જોઈને તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને તેમને રાહત આપી હતી. પોતાની સંગીત કલાના સન્માન ખાતર આ બંને બહેનોએ આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે આ મહોત્સવ યોજાય છે.

આ પણ વાંચો: 24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા આ સંગીત સમ્રાજ્ઞીઓની યાદમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ સંગીત રસિકો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે વડનગર ખાતે ઉમટી પડશે. આ કાર્યક્રમ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.










