![]()
Surat : સુરત સહિત ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં શિક્ષકોને જોડી દેવાતા હવે પાલિકાની શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. આ કામગીરીમાં સુરતના વેડ રોડ પર પાલિકાની એક શાળામાં 16 શિક્ષકો હોવા છતાં 582 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ત્રણ શિક્ષક બચ્યા છે. આ રાષ્ટ્રીય કામગીરીના કારણે ગરીબ વિદ્યાર્થીઓ તેમના મૂળભૂત અધિકારથી વંચિત રહે છે. બે ત્રણ વર્ગ ભેગા કરીને એક વર્ગમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે આગામી દિવસોમાં સમિતિની શાળામાં ઈન્સ્પેક્શન પણ થશે તેથી શિક્ષકોની ચિંતામાં વધારો થયો છે.
સુરતમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) ની કામગીરીમાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની હાલત કફોડી કરી દીધી છે. શાળા સત્ર શરૂ થયું ત્યારથી જ શિક્ષકો વર્ગખંડના બદલે મતદાર યાદી સુધારણા માટે ઘરે ઘરે ફરી રહ્યા છે જેના પરિણામે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં ફાંફા પડી રહ્યાં છે. વેડરોડ પર આવેલી મહાત્મા જ્યોતિબા ફૂલે વિદ્યાલયમાં 16 શિક્ષકોનું મહેકમ છે અને 582 વિદ્યાર્થીઓ છે. પરંતુ હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આ શાળાના 16 માંથી 13 શિક્ષકના ઓર્ડર બી.એલ.ઓ. તરીકે નીકળ્યા છે.
શાળા ક્રમાંક 180માં 582 વિદ્યાર્થીઓ છે તેની સામે માત્ર બે સાથી શિક્ષક અને એક શિક્ષક મળી માત્ર ત્રણ શિક્ષક છે જેના કારણે આ વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું બંધ થયું છે. ત્રણ શિક્ષકો 582 વિદ્યાર્થીઓને સાચવતા હોવાથી બે ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને એક વર્ગખંડમાં ભેગા કરીને શિક્ષણ આપવામા આવે છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ બોર્ડ નીચે બેસવું પડી રહ્યું છે. આ સ્થિતિ સામે શાળાના આચાર્યએ રજૂઆત કરી છે પરંતુ આ એક માત્ર શાળાનો પ્રશ્ન નથી સુરત પાલિકાની મોટાભાગની શાળાના શિક્ષકો બી.એલ.ઓ. કામગીરીમાં જોડાયા છે અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને શિક્ષણ આપી રહ્યાં છે. પરંતુ આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે જો ન થાય તો વોરંટ સુધીના પગલાં ભરવામાં આવે છે તેથી ડરીને શિક્ષકો વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કામગીરી કરી રહ્યાં છે.
બીજુ સત્ર શરુ થયું અને અનેક કાર્યક્રમોની વણઝાર વચ્ચે શિક્ષણ તો અટવાયું હતું તેમાં આ કામગીરી જોડી દેવાતા શિક્ષણ કાર્ય માત્ર દેખાવ પુરતું ચાલી રહ્યું છે. આવામાં હવે થોડા સમય પછી શાળામાં ઈન્સ્પેક્શન કરવામાં આવશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમ વચ્ચે શિક્ષણ યોગ્ય અપાયું નથી તેથી ઈન્સ્પેક્શનમાં નબળો દેખાવ થાય તેવી શક્યતા હોવાથી શિક્ષકો ડરી રહ્યાં છે. આમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમ વચ્ચે શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે.
શાળાના આચાર્યએ પત્ર લખીને શિક્ષણ માટે શિક્ષકોની માંગણી કરી
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મોટાભાગના શિક્ષકો બી.એલ.ઓ.ની કામગીરીમાં જોડાયા છે અને વર્ગખંડમાં શિક્ષકો નથી આવા સંજોગોમાં ગરીબ વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળતું નથી. આવી સ્થિતિ નિવારવા માટે વેડરોડની શાળાના આચાર્યએ પત્ર લખી શિક્ષકોની માંગણી કરી છે.
વેડ રોડની શાળાના આચાર્ય કાશીનાથ જાધવે બીટ નિરીક્ષક તથા શાસનાધિકારીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, 16માંથી 13 શિક્ષકો બી.એલ.ઓ.માં હોય શિક્ષણ પર અસર થઈ રહી છે. ત્રણ શિક્ષકો 582 વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરે છે તેમાં પણ મુશ્કેલી થાય છે એક વર્ગની હાજરી પુરવામાં એક કલાક જેટલો સમય નીકળી જાય છે. બે ત્રણ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં મુશ્કેલી પડે છે.
અહીના શિક્ષકોને શાળાથી 9 કિલોમીટર દુર કરંજ વિધાનસભામાં બી.એલ.ઓ કામગીરી સોંપવામાં આવી છે તેના કારણે તેઓ શાળામાં થોડો સમય પણ આપી શકતા નથી. આ શાળા હિતમાં બીટ નિરીક્ષક અને શાસનાધિકારીને પત્ર લખીને આસપાસની શાળામાંથી શિક્ષકો ફાળવે તેવી માંગણી કરી છે.









