![]()
મ્યુ. કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક મળી હતી. શહેરમાં વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈ કડક અને સુધારાત્મક પગલાં અંગે ચર્ચા સાથે અમલીકરણના આદેશો અપાયા હતા.
બાગ-બગીચાઓમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસના મુદ્દાને ધ્યાનમાં લઈ મ્યુ. કોર્પોરેશને પ્રથમ તબક્કે કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં સહેલાણીઓની પ્રવેશ નોંધણી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રે ૧૧:૩૦ વાગ્યા પછી કેટલાક વેપારીઓ રસ્તા પર લારીઓ મૂકી જતા રહેતા હોય તેને અટકાવવા લારી સાથે લઈ જવાની ફરજ પાડવા વેપારીઓને અપીલ કરી છે. એકજ લારીના લાયસન્સ ૫૨ ૮-૧૦ લારીઓ ચાલતી હોવાનું ધ્યાને આવતા તપાસ અને કાર્યવાહી અંગે અધિકારીઓને જણાવ્યું છે.
મોટર મૂકી પાણી ખેંચનારાઓ તેમજ ગેરકાયદે જોડાણ ધરાવતા લોકો સામે પગલાં લેવા વહીવટીતંત્રને કડક સૂચના આપવામાં આવી છે.બેઠકમાં તળાવો ખાતે સફાઈ અને બ્યુટીફિકેશન, હેરિટેજ ઇમારતોનું રીસ્ટોરેશન, સર્કલ અને ડિવાઈડરનું મેન્ટેનન્સ ખાનગી સંસ્થાઓને સોંપવાનું, સરકારી આવાસોની ફાળવણી, નવા રસ્તાઓ અને પેચવર્ક, સરદાર યાત્રાની તૈયારી, સોસાયટીઓના પ્રમુખોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તમામ ભાગ-બગીચાઓમાં જરૂરી સમારકામ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ચેકિંગની સુચના અપાઈ છે.
સિક્યુરિટી કર્મચારીઓ – અસામાજિક તત્વોની સાંઠગાંઠ?
મ્યુ. કોર્પોરેશનને પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત મળ્યો છે. શહેરના તમામ બાગ-બગીચાઓમાં મ્યુ. કોર્પોરેશને સિક્યુરિટી તૈનાત કરી છે. છત્તા બાગ-બગીચાઓમાં સાંજે અસામાજિક તત્વો અડિંગો જમાવે છે, પ્રેમી યુગલોની અશ્લીલ હરકોની ફરિયાદો પણ વધી રહી છે. આવા બનાવો સામે સિક્યુરિટી દ્વારા યોગ્ય કાર્યવાહી નથતા કેટલાક સિક્યુરિટી કર્મચારીઓની સાંઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે.










