Congress National Convention: ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે (9 એપ્રિલ) બીજા દિવસે પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન AICC સભ્યોએ જાહેર મંચ પર પાર્ટીની ખામીઓ પર વાત કરી અને પોતાનો પક્ષ મૂક્યો. ઉત્તર પ્રદેશના કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ સંગઠનમાં નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીએ એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપા છે અને બીજો ભાજપમાં કામ કરે છે. તેઓ મંચ ઉપરથી ગરજી રહ્યા હતાં, ત્યારે પાર્ટી હાઇકમાન્ડે પણ તાળીઓથી તેમની વાતને વધાવી હતી.
કોંગ્રેસ નેતા આલોક મિશ્રાએ કહ્યું કે, ‘એક કાર્યકર્તા જે 1982થી કોંગ્રેસમાં છે તે આજે કોંગ્રેસને અપીલ કરે છે, આપણે ભાજપ સાથે પછી લડીએ છીએ, પહેલાં કોંગ્રેસી અંદરોઅંદર લડે છે. એકવાર નક્કી કરી લો કે, કોઈપણ નિર્ણય જે ઉપરથી નક્કી થશે, તેને આપણે સહર્ષ સ્વીકારીશું. ત્યાં સુધી એકબીજા સાથે નહીં લડીએ, જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સત્તામાં ન લાવી દઈએ. આપણે પાર્ટીને સત્તામાં લાવીને જ જંપીશું.
આ પણ વાંચોઃ વડોદરામાં મહિલા કાઉન્સિલરના પતિએ એન્જિનિયરને લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓની હડતાળ
શું તે પ્રમુખ બનવાના લાયક છે?
આલોક મિશ્રાએ આગળ કહ્યું કે, રાહુલજી અને ખડગેજી, હું તમને કહેવા આવ્યો છું કે, તમારે ભાજપને દૂર કરવી હોય અને કોંગ્રેસની અંદર જે ભાજપના લોકો છે, તેને દૂર કરવા હોય તો હું તમને પૂછવા ઈચ્છું છે કે, જો કોઈ શહેર અધ્યક્ષ છે, જેનો એક દીકરો સપામાં હોય અને બીજો ભાજપમાં… શું તે પ્રમુખ બનવા લાયક છે? જો તે શહેર પ્રમુખ બનવા લાયક છે તો અમે પણ તેનો સ્વીકાર કરીએ છીએ.
શહેર પ્રમુખે ચૂંટણી ન લડવી જોઈએ
વધુમાં મિશ્રાએ કહ્યું કે, કાનપુરમાં આપણે 4 લાખ 22 હજાર મત હાંસલ કર્યા. આ તક મને મળી, જે ઈતિહાસમાં ઈ.સ 1947થી કોઈને નથી મળી. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે, શહેર પ્રમુખોને જે તમે સત્તા આપી છે, તેનો અમે સ્વીકાર કરીએ છીએ. પરંતુ, તેની સાથોસાથ એ નિર્ણય કર લો કે, શહેર અથવા જિલ્લા પ્રમુખ જે પણ હોય તે ચૂંટણી માટે અરજી નહીં કરે. તે ફક્ત સંગઠનનું કામ કરશે. નહીંતર દરેક શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ ખુદ ચૂંટણીનો ઉમેદવાર બની જશે.
આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર: સિંચાઈ માટે એક મહિનો વહેલું પાણી મળશે, 13 લાખ ધરતીપુત્રોને મળશે લાભ
ચૂંટણી જીતીશું તો નિર્ણય કરી લઇશું
કોંગ્રેસ સંગઠન વિશે વાત કરતા આલોક મિશ્રાએ કહ્યું કે, જે લોકોએ 1982માં મારી જેમ કોંગ્રેસ નથી છોડી, હું તમને વચન આપું છું કે, હું મારૂ સર્વસ્વ ન્યોછાવર કરવા ઈચ્છુ છું, તમારા માટે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા માટે બધું છોડવા ઈચ્છું છું. કોઈ પ્રકારે કોંગ્રેસ સત્તામાં આવી જાય, જ્યારે સત્તા હાથમાં આવશે તો આપણે નિર્ણય લઈશું. આલોક મિશ્રાના સંબોધન દરમિયાન ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી તાળી વગાડતા જોવા મળ્યા હતાં.
જણાવી દઈએ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આલોક મિશ્રાને કાનપુર લોકસભા બેઠકથી ટિકિટ આપી હતી. તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતાં. સપા અને કોંગ્રેસના સહયોગી સાથે મિશ્રા 4,22,087 મત સાથે બીજા નંબરે આવ્યા હતાં. ભાજપના રમેશ અવસ્થીને 443055 મત મળ્યા હતાં અને તેમણે 20,968 મત સાથે ચૂંટણી જીતી હતી.