![]()
હાઇકોર્ટના આદેશ પર તરનતારન કોર્ટ રાત્રે ખુલી
અમૃતસર: દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે હું ગરીબોને ન્યાય અપાવવા રાત્રે પણ કોર્ટમાં બેસવા તૈયાર છું. જોકે આવું ખરેખર પંજાબમાં જોવા મળ્યું હતું. પંજાબમાં એક કોર્ટમાં રાતભર મામલાની સુનાવણી થઇ અને અંતે સવારે ચાર વાગ્યે નિર્ણય આવ્યો જેમાં એક મહિલાને જામીન પર છોડી મુકવામાં આવી હતી.
પંજાબના તરનતારનની વિધાનસભા બેઠક પર શિરોમણી અકાળી દળના ઉમેદવાર સુખવિંદર કૌર રંધાવાની પુત્રી કંચનપ્રીત કૌરની શુક્રવારે ધરપકડ કરાઇ હતી. મામલો રાજ્યની હાઇકોર્ટમાં પહોંચ્યો, હાઇકોર્ટે તરનતારનની કોર્ટને આદેશ આપ્યો કે તે રાત્રે જ જામીન અંગે સુનાવણી કરે અને આ ધરપકડ અંગે નિર્ણય સંભળાવે.
જેને પગલે તરનતારનની કોર્ટમાં રાત્રે ૯.૪૦ કલાકે સુનાવણી થઇ જે રાત્રે બે વાગ્યા સુધી ચાલી હતી. બાદમાં સવારે ચાર વાગ્યે કોર્ટે ચુકાદો આપ્યો હતો. અને કંચનપ્રીતને જામીન પર છોડી મુકવા આદેશ કર્યો હતો. સુનાવણી દરમિયાન અકાળી દળ તરફથી પાંચ વકીલો જ્યારે સરકાર તરફથી ચંડીગઢના ડેપ્યુટી એડવોકેટ જનરલ હાજર રહ્યા હતા. પેટા ચૂંટણીમાં અકાળી દળના ઉમેદવારની આપના ઉમેદવાર સામે હાર થઇ હતી. જોકે ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો હતો અને તેમાં સુખવિંદરની પુત્રી કંચનપ્રીતને પણ આરોપી બનાવાઇ હતી તેથી તેની ધરપકડ કરાતા વિવાદ થયો હતો. અકાળી દળે આપ સરકાર પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.










