અમદાવાદ,શુક્રવાર
શહેરના નિકોલમાં રહેતા એક વ્યક્તિના નામે લોન અને ક્રેડિટ કાર્ડ લઇને ચાર કરોડની છેતરપિંડી કરવાના કેસમાં તપાસ કરી રહેલી આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓને તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો મળી હતી કે છેતરપિંડી આચરનાર બે ગઠિયાઓએ ૨૦ જેટલા વ્યક્તિઓના નામે મોટાપ્રમાણમાં લોન અને ક્રેડિટ કાર્ડ લઇને ૨૨ કરોડની રકમ સગેવગે કરી હતી. નિર્દોષ લોકોને ટારગેટ કરીને મેળવવામાં આવતા નાણાંને સગેવગે કરવા માટે આરોપીઓને મૌલિક પટેલ નામનો ચાર્ટડ એકાઉન્ટન્ટ નાણાંકીય સલાહ આપતો હતો. જેના આધારે પોલીસે સીએ મૌલિક પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
શહેરના નિકોલમાં આવેલા શ્રીનંદ ઇલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઇ હીરપરાના એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વોરાએ ઉછીના નાણાં લેવા માટે દિનેશભાઇના નામે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ મેળવીને બેંક એજન્ટ રાહુલ શર્મા (રહે. કલા રેસીડેન્સી, સેટેલાઇટ) સાથે મળીને ચાર કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી આચરી હતી. આ કેસના તપાસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ શરૂ કરી હતી. જમાં આરોપી વિશાલ વોરા અને રાહુલ શર્માએ સાથે મળીને કુલ ૨૦ જેટલા વ્યક્તિઓનેિ વિશ્વાસમાં લઇને ૧૭૪ જેટલી લોન અને ૬૦ જેટલા ક્રેડિટ કાર્ડથી કુલ ૨૨ કરોડ જેટલી રકમની ઉચાપત કરી હતી.
લોનની જમા થતી રકમને અન્ય મળતિયાઓના કે ડમી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને બારોબાર ઉઠાવી લેતા હતા. ત્યારબાદ છેતરપિંડીના આ નાણાંને કાયદેસરની કરવા માટે વિશાલ વોરા ચાર્ટડ એકાઉન્ટન્ટ મૌલિક પટેલ (રહે. સમર્થ હાઇટ્સ, સાયન્સ સીટી રોડ, સોલા)ની મદદ મળતી હતી. જેના તમામ પુરાવા એકઠા કરીને પોલીસે મૌલિક પટેલની પણ ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં આગામી સમયમાં બંક સાથે જોડાયેલા શખ્સોની સંડોવણી પણ સામે આવી શકે તેમ છે.આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી હિમકરસિગે જણાવ્યું કે આ કેસમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ મૌલિક પટેલે તેમની પ્રેક્ટીશના નિયમોનો ભંગ કર્યો છે. જેથી આ અંગે ચાર્ટડ એકાઉન્ટન્ટના એસોશીએશનને રિપોર્ટ કરવામાં આવશે. ખાસ કરીને મૌલિક પટેલ જાણતો હતો કે આરોપીઓ છેતરપિંડીના નાણાંની હેરફેર કરે છે. ત્યારે તેણે પણ આર્થિક હિત માટે ગુનો આચર્યો હતો.










