![]()
ડાકોર-રાણીયા ફાટક નજીક અકસ્માત
પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી
આણંદ: ડાકોર-રાણીયા ફાટક નજીક પૂરપાટ ડમ્પર લઈને આવતા ચાલકે સાયકલ લઈને ઉભેલા એક વૃદ્ધને ડમ્પરની ટક્કર માર્યા બાદ વૃદ્ધની ઉપર ડમ્પર ચઢાવી દેતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ રેલવે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઠાસરા તાલુકાના રખીયાલ ગામે રહેતા ૭૮ વર્ષીય ગોવિંદભાઈ લક્ષ્મીદાસ પટેલ ગતરોજ પુનમ હોવાથી ઘરેથી સાયકલ લઈને ડાકોર મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા.
જે બાદ સાંજના સમયે ડાકોર-રાણીયા રેલવે લાઇન ઉપર ફાટક બંધ હોવાથી તેઓ સાયકલ લઈને ઊભા હતા.
તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલા ડમ્પરના ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને ડમ્પર તેમના શરીર ઉપર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત અંગે આણંદ રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.










