
દૃષ્ટિહીન વ્યક્તિના નામે બોગસ ડોક્યુમેન્ટ બનાવી અલગ -અલગ બેંક અને સંસ્થાઓમાંથી રૂ. પ૦ લાખની લોન લઈ કરાયેલી છેતરપિંડીના કેસમાં આરોપી રવીન્દ્ર શામજી પાનસુરીયા (રહે -બોટાદ)ની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
૧૩મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પારસકુમાર વિનોદરાય ભટ્ટની કોર્ટમાં આ અંગે સુનાવણી યોજાઈ હતી. કોર્ટએ જણાવ્યું કે, કેસની તપાસ અત્યંત નાજુક તબક્કામાં છે અને આરોપીએ ગુનામાં ભજવેલ ભૂમિકા તથા ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમને જામીન પર મુક્ત કરવું યોગ્ય જણાતું નથી.
અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪માં રવીન્દ્ર પાનસુરીયાએ એના જમાઈ સહિતના સહ આરોપીઓ સાથે મળી હાલારિયા ગામની દૃષ્ટિહીન દિવ્યાંગ વ્યક્તિના નામના બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી વડોદરાની એસબીઆઇ બેંકમાં ત્રણ ખાતા ખોલાવી કુલ રૂ. ૫૦ લાખની લોન લઈ કરેલી ઉચાપત અંગે અકોટા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.
આ કેસમાં અગાઉ, રવીન્દ્ર પાનસુરીયાના સાગરીતો નાથાભાઈ જોગાણી અને મહેશ વાણીયાની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે આરોપી અનિલ ગેલાણી અને દશરથ ગેલાણી હજૂ ફરાર छे.










