![]()
Indigo Flight : છેલ્લા કેટલાક દિવસોથી 2000થી વધુ ફ્લાઈટ્સ રદ થવાના સંકટનો સામનો કરી રહેલી દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો ઝડપથી પોતાનું સંચાલન વ્યવસ્થિત કરી રહી છે. કંપનીએ જાહેર કર્યું કે, આજે (7 ડિસેમ્બર) તે 1650થી વધુ ફ્લાઈટો ચલાવી રહી છે, જે ગઈકાલે 1500 હતી. એરલાઈનના 138માંથી 137 સ્થળો સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયા છે અને સમયસર ઉડાન ભરવાનો આંકડો પણ 30 ટકાથી વધીને 75 ટકા થયો છે.
610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવ્યું
ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે, 15 ડિસેમ્બર સુધી તમામ ગ્રાહકોને ટિકિટ રદ કરાવવા અથવા મુસાફરીમાં ફેરફાર કરવા બદલ સંપૂર્ણ શુલ્ક માફ રહેશે. ઈન્ડિગો અત્યાર સુધીમાં 610 કરોડ રૂપિયાનું રિફંડ આપી ચૂકી છે. મુસાફરોનો સામાન 48 કલાકની અંદર પરત કરવા જણાવાયું છે. એરલાઈન અત્યાર સુધીમાં 3000 બેગ મુસાફરો સુધી પહોંચાડી ચૂકી છે.
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી ભારત આવશે !
સરકારની સખ્તાઈ અને ભાડા પર નિયંત્રણ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોની મુશ્કેલીને કારણે મુસાફરોને થતી હાલાકી ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવાથી કેટલાક રૂટ પર વિમાનના ભાડામાં જે વધારો થયો હતો, તેને રોકવા માટે મંત્રાલયે તરત જ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી દીધી છે, જેના કારણે ભાડા સામાન્ય સ્તરે આવી ગયા છે. અન્ય તમામ એરલાઈન્સને પણ આ મર્યાદાનું પાલન કરવા આદેશ અપાયો છે. મંત્રાલયે ઈન્ડિગોને સખત આદેશ આપ્યો હતો કે, તમામ રદ થયેલી કે વિલંબિત ઉડ્ડયનોનું રિફંડ રવિવાર સાંજે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવે.
મોટાભાગના એરપોર્ટ પર સ્થિતિ સમાન્ય
દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ અને ગોવા સહિતના મુખ્ય એરપોર્ટ્સ પર આજે સ્થિતિ સામાન્ય બની છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પોતાની પ્રથમ પ્રાથમિકતા ગણાવીને મંત્રાલયે કહ્યું છે કે, ૨૪x૭ કંટ્રોલ રૂમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સ્થિતિ વહેલી તકે સંપૂર્ણ સામાન્ય થઈ જશે.
આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO










