![]()
Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતક જાવેદને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજએ ચપ્પુ ઘા મારી હત્યા કરી હતી. આરોપી શાહરૂખ ડ્રગ્સ પેડલર હોવાનું અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ સરખેજ પોલીસે આરોપીને પકડવા અને હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડીમાં, રોનક પાનપાર્લર ચાર રસ્તાની સામેની રવિવારે (સાતમી ડિસેમ્બર) રાતે ચકચારી હત્યાની ઘટના બની હતી. મૃતક યુવક જાવેદ અને આરોપી શાહરૂખ વચ્ચે સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. આ ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બન્યો, જેના પરિણામે શાહરૂખે ઉશ્કેરાઈને જાવેદને સાથળના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. ચપ્પાનો ઘા ઘણો ઊંડો હોવાથી જાવેદને બ્લીડિંગ થવા લાગ્યું હતું. તાત્કાલિક જાવેદને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. તેનું મૃત્યુ વધુ લોહી વહી જતા થયું હતું.
આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા
મૃતકના પરિવારની સરકાર અને પોલીસ સમક્ષ માગ
મૃતકના સાળા વસીમે આરોપી શાહરૂખ પર ગંભીર આક્ષેપો કર્યાં છે. તેના જણાવ્યાનુસાર, શાહરૂખએમડી ડ્રગ્સનો ધંધો કરે છે. તે દારૂ પીધેલો હતો અને સિગારેટ માંગવાના બહાને લોકોને હેરાન કરતો ફરે છે. જેના પર અગાઉ પોલીસકર્મીઓ પર હુમલો કરવા, લોકોને એસિડ મારવા સહિતના ઘણા ગંભીર ગુનાઓ અગાઉ પણ નોંધાયેલા છે.
પીડિત પરિવારની માગ છે કે, સરકાર અને પોલીસ સમક્ષ સખત માંગણી કરી છે કે ડ્રગ્સ માફિયા અને આવા ગંભીર ગુના કરનાર આરોપીઓને કડક સજા મળવી જોઈએ. આવા ગુનેગારોના ઘરો તોડી નાખવા જોઈએ અને તેમને એવી સજા થવી જોઈએ કે તેઓ ફરીથી જેલમાંથી બહાર ન આવે. જે ગુનેગાર એક-બે ગુના કરીને પણ સુધરતો નથી, તેને ત્રીજો ગુનો કરવાનો મોકો મળવો ન જોઈએ, કારણ કે તે દેશ અને સમાજ માટે જોખમરૂપ છે.
હાલમાં, સરખેજ પોલીસે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે ‘લીકેજ’ને પકડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ મામલે મર્ડરનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.










