![]()
Ethanol Blending: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં ઇથેનોલને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો. સરકારે સોમવારે (8 ડિસેમ્બર) ઇથેનોલ અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, E20 ઇંધણ પર ચાલતા વાહનોમાં કોઈ સમસ્યા આવી નથી. સ્ટાર્ટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી આવી અને જ્યાં સુધી જૂની ગાડીઓની વાત છે તો તેના પરફોર્મન્સ પર પણ કોઈ અસર નથી પડી.
આ પણ વાંચોઃ ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી
કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઇથેનૉલને લઈને સરકારને પ્રશ્ન કર્યો હતો કે, 31 માર્ચ, 2025 સુધી છેલ્લાં પાંચ વર્ષોમાં પેટ્રોલ અથવા ડીઝલમાં કેટલું ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું, તેની જાણકારી વાર્ષિક હિસાબે આપવામાં આવે. આ સાથે જ પેટ્રોલ અથવા ડીઝલમાં પ્રતિ લિટર કેટલું ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું? ઇથેનોલ મિક્સ કરતા પહેલાં પેટ્રોલ અથવા ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરના હિસાબે કોઈ ફાયદો થયો? શું આનાથી લોકોને કોઈ ફાયદો થયો?
ફક્ત પેટ્રોલમાં જ ઇથેનોલનું મિશ્રણ
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે, EBP (Ethanol Blending Percentage) પ્રોગ્રામ હેઠળ, ઓઇલ માર્કેટિંગ કંપની (OMCs) BIS સ્ટાન્ડર્ડ અનુસાર, પેટ્રોલ સાથે ઇથેનોલના અલગ-અલગ બ્લેન્ડ વેચે છે. હાલ, ઇથેનોલનું બ્લેન્ડિંગ ફક્ત પેટ્રોલમાં કરવામાં આવે છે. ગત 5 વર્ષ દરમિયાન પેટ્રોલમાં મિક્સ કરવામાં આવેલા ઇથેનોલની માત્રામાં સતત વધારો થયો છે. દર વર્ષે મિશ્રણનો સરેરાશ પુરવઠો સતત વધ્યો છે.
ડિસેમ્બર, 2020થી લઈને નવેમ્બર 2021 સુધી EBP હેઠળ 302.30 કરોડ લિટર તેલમાં 8.10 ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવ્યું. ત્યાર બાદ 2021-22માં આ દર વધીને 10.02% સુધી પહોંચી ગયો. 2022-23માં તેનો દર વધીને 12.06% (11 મહિનામાં) થઈ ગયો. 2023-24માં 707.40 કરોડ લિટર પેટ્રોલમાં આ વૃદ્ધિ 14.60% થઈ ગઈ. જોકે, ચાલું વર્ષમાં નવેમ્બર 2024થી લઈને ઓક્ટોબર 2025 એટલે 11 મહિનામાં આ વધારો 19 ટકાથી વધી ગયો છે.
ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY)માં ઇથેનોલનું મિશ્રણ
ઇથેનોલથી કિંમતમાં કેટલો ઘટાડો?
કેન્દ્રીય મંત્રી ગોપીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇથેનોલ ખરીદીના ભાવમાં વધારો થયો છે. 2024-25માં, ઇથેનોલની સરેરાશ ખરીદી કિંમત રૂ. 71.55 પ્રતિ લિટર (જેમાં ટ્રાન્સપોર્ટેશન અને GST પણ સામેલ), જે રિફાઇન્ડ પેટ્રોલની કિંમત કરતા ઘણી વધારે છે.
આ પણ વાંચોઃ આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગે તેમણે કહ્યું કે, પેટ્રોલ (ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ)ની કિંમત 26 જૂન, 2010થી બજાર દ્વારા નક્કી કરવામાં આવી છે. ત્યારથી, તેલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમતો, સ્થાનિક બજારની સ્થિતિ વગેરેના આધારે પેટ્રોલના ભાવ નક્કી કર્યા છે.
ઇથેનોલના હેતુ જણાવ્યા
બીજી બાજુ, રાજ્યસભાના સાંસદ રાજિન્દર ગુપ્તાના પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે, જેના અનેક ઉદ્દેશ્યો છે. ગ્રીન ઇંધણ તરીકે, ઇથેનોલ સરકારના પર્યાવરણીય સ્થિરતાના પ્રયાસોને ટેકો આપે છે. તે ક્રૂડ ઓઇલ પર આયાત નિર્ભરતાને પણ ઘટાડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થાય છે અને સ્થાનિક કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળે છે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ 2018ને વર્ષ 2022માં સંશોધિત કરવામાં આવ્યું અને આ અંતર્ગત, 2030 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. OMC એ જૂન 2022માં પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તેવી જ રીતે, ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 દરમિયાન, 10 અબજ લિટરથી વધુ ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું, આમ પેટ્રોલમાં સરેરાશ 19.24% ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત થયું હતું. ઓક્ટોબરમાં, 19.97% ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત થયું હતું.
‘ઇથેનોલથી રૂ. 1.55 લાખ કરોડની બચત’
તેમણે આ યોજનાના ફાયદાઓ સમજાવતા તેમણે કહ્યું કે, ESY 2014-15થી ઓક્ટોબર 2025 સુધી ખેડૂતોને રૂ. 1,36,300 કરોડથી વધુની તાત્કાલિક ચુકવણી, રૂ. 1,55,000 કરોડથી વધુની વિદેશી હૂંડિયામણની બચત, આશરે 79 મિલિયન મેટ્રિક ટન CO2 ઘટાડો અને 26 મિલિયન મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનો રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ
ઇથેનોલ મિશ્રણ દ્વારા ઊભા થયેલા પડકારો અંગે, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે 26 ડિસેમ્બર, 2020 ના રોજ નીતિ આયોગ હેઠળ રચાયેલી આંતર-મંત્રી સમિતિ (IMC) એ વાહન સુસંગતતા અને માઇલેજ સંબંધિત વિવિધ પાસાઓની તપાસ કરી હતી. આ સંશોધનને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઈન્ડિયા (ARAI) અને સોસાયટી ઑફ ઈન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન અભ્યાસો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, E20-ઇંધણ વાહનો પર હાથ ધરવામાં આવેલા મોટા ક્ષેત્ર પરીક્ષણોમાં E20ની કોઈ સુસંગતતા સમસ્યાઓ અથવા નકારાત્મક અસરો બહાર આવી નથી.
“E20 ઇંધણ સાથે કોઈ ખાસ તફાવત નથી”
આ વિશે વધુ વાત કરતા સુરેશ ગોપીએ કહ્યું કે, આનાથી એ પણ જાણવા મળ્યું છે કે E20 ઇંધણ પર ચાલતી વખતે જૂના વાહનોમાં કોઈ નોંધપાત્ર કામગીરીમાં ફેરફાર થતો નથી, કે કોઈ અસામાન્ય ઘસારો થતો નથી. આ સિવાય તેનાથી મેટલ કમ્પેટિબિલિટી અને પ્લાસ્ટિક કમ્પેટિબિલિટી જેવા પેરામીટરમાં કોઈ સમસ્યા જોવા નથી મળી.
જૂના વાહનોમાં કેટલાક નાના ફેરફારોનો ઉલ્લેખ કરતા, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જોકે બિન-મિશ્રિત ઇંધણનો ઉપયોગ કરતા પહેલા કેટલાક રબરના ભાગો અને ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે, ફક્ત કેટલાક જૂના વાહનોને બદલવાની જરૂર પડી શકે છે. આ રિપ્લેસમેન્ટ ખર્ચાળ નથી અને નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી કરી શકાય છે. વાહનના જીવનકાળ દરમિયાન આ ફક્ત એક જ વાર જરૂરી હોઈ શકે છે અને તે એક સરળ પ્રક્રિયા છે જે કોઈપણ વર્કશોપમાં કરી શકાય છે.










