![]()
Ahmedabad Garlic and Onion Divorce Case: ગુજરાત હાઇકોર્ટમાં છૂટાછેડાનો એક અટપટ્ટો કિસ્સો સામે આવ્યો છે. લસણ અને ડુંગળીના કારણે પતિ પત્ની વચ્ચે એવો ડખો પડ્યો કે 11 વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો. પતિએ ફેમિલી કોર્ટમાં ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે અરજી કરી હતી. જેને ગ્રાહ્ય રાખવામાં આવતા પત્ની હાઈકોર્ટના શરણે ગઈ હતી. આજે ગુજરાત હાઈકોર્ટ ફેમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી પત્નીની પડકારતી અરજીને ફગાવી દીધી છે.
કેવી રીતે લસણ અને ડુંગળીની વાત છૂટાછેડા સુધી પહોંચી?
મળતી માહિતી અનુસાર દંપતીનાં લગ્ન 2002માં થયા હતા. મહિલા સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમોનું ચુસ્તપણે પાલન કરતી હતી. ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી. પરંતુ પતિના પરિવાર પર ડુંગળી લસણ ખાવાનો કોઈ પ્રતિબંધ ન હતો. તેમ છતાં પણ ઘરમાં રસોઈને લઈને ઝઘડા શરૂ થઈ ગયા હતા. સંબંધો પર એવી કાતર ફરી કે પતિ અને સાસુ આહાર બદલવાને અંગે પત્ની પર દબાણ કરવા લાગ્યા હતા. પત્ની નિયમિત રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો મુજબ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી હતી. જેથી તેને આહાર બદલવાની પતિની માંગને ઠુકરાવી દીધી હતી. જેથી ઘરમાં અલગ-અલગ રસોઈ બનવા લાગી હતી.
ફેમિલી કોર્ટ છૂટાછેડા મંજૂર કર્યા
આખરે આ કકળાટના કારણે ઘરકંકાસ વધી જતાં પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી હતી. જેથી 2013માં પતિએ ફેમિલી કોર્ટમાં ક્રૂરતા આચરવાનો ઉલ્લેખ કરી છૂટાછેડા માટે અરજી કરી હતી. મે, 2024ના દિવસે ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા પણ પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટી અપડેટ, શાળા પસંદગીની તારીખ જાહેર
હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી, ભરણપોષણની રકમ કોર્ટની રજિસ્ટ્રીમાં જમા થશે
જે બાદ બન્ને પક્ષોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પત્નીએ છૂટાછેડા અને ભરણપોષણની રકમ સામે અપીલ કરી હતી. જ્યારે પતિએ ભરણપોષણના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટમાં પત્નીએ કહ્યું કે હવે તેને છૂટાછેડા સામે કોઈ જ પ્રકારનો વાંધો નથી. પતિએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે બાકી ભરણપોષણની રકમ તે કોર્ટની રજિસ્ટ્રીમાં હપ્તામાં જમા કરાવી દેશે, જે રકમ તેની પત્નીને આપવામાં આવશે. આમ લસણ અને ડુંગળીના કારણે થયેલા પારિવારિક ક્લેશમાં 11 વર્ષના લગ્નજીવનનો અંત આવતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.










