![]()
Delhi Loss From IndiGo Crisis: ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલના મતે, ઇન્ડિગોની આ સમસ્યાને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને આશરે ₹1000 કરોડના કારોબારનું નુકસાન થયું છે.
દિલ્હી આવતાં લોકોમાં 25%નો ઘટાડો
ગોયલે જણાવ્યું કે ઇન્ડિગો સંકટને કારણે છેલ્લા 10 દિવસમાં દિલ્હીમાં બહારથી આવતાં લોકોની સંખ્યા(Footfall)માં 25 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આના પરિણામે અહીંની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, બેન્ક્વેટ્સ અને રિસોર્ટ્સના હજારો બુકિંગ રદ થઈ ચૂક્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાની સમસ્યાથી દિલ્હીના અનેક ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે.
દિલ્હીના બજારોની રોનક છીનવાઈ
ઇન્ડિગો કટોકટી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 4500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે, અને આ આંકડો સતત વધી રહ્યો છે. CTI ચેરમેન બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, દરરોજ દિલ્હી ઍરપોર્ટ પરથી 1.5 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે, જેમાંથી લગભગ 50,000 વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મુસાફરી કરતાં વેપારીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના બજારોમાં પણ બહારથી આવતાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેની સીધી અસર સ્થાનિક વેપાર પર પડી રહી છે.
મોટા મોટા એક્ઝિબિશન પણ…
વધુમાં, દિલ્હીના પ્રગતિ મેદાન અને આનંદ મંડપમમાં ઓટોમોબાઇલ, હેન્ડલૂમ, ટેક્સટાઇલ, હોમ ફર્નિશિંગ અને ઓટો પાર્ટ્સના મોટા પ્રદર્શનો લાગેલા છે. આ પ્રદર્શનોમાં બહારથી હજારો વેપારીઓ અને પ્રવાસીઓ આવતા હતા, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યાને કારણે હજારો લોકોની ફ્લાઇટ્સ રદ થઈ, જેનાથી અપેક્ષિત સંખ્યામાં લોકો પહોંચી શક્યા નથી.
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને રોકાણકારોને ફટકો
દિલ્હી સ્થિત એક ટ્રાવેલ્સના ડિરેક્ટરના મતે, આ સમય દિલ્હીમાં પ્રવાસન માટેનો હોય છે, જે જાન્યુઆરીના મધ્ય સુધી ચાલે છે, પરંતુ ઇન્ડિગો સંકટને કારણે ક્રિસમસ અને ન્યૂ યરની બુકિંગ પર પણ અસર થવા લાગી છે. પર્યટકોના હોટેલ, પ્રવાસન સ્થળો પર ફરવા માટેના વાહનો, ટૂરિસ્ટ ગાઇડ્સ અને રેસ્ટોરન્ટ્સના બુકિંગ રદ થયા છે. આ ઉપરાંત, ડેસ્ટિનેશન વેડિંગ જેવા આયોજનોને પણ ભારે નુકસાન થયું છે, જ્યાં મહેમાનો જ નહીં પણ કેટલાક કિસ્સાઓમાં વર-વધૂના પરિવારજનો પણ પહોંચી શક્યા નથી.
ઇન્ડિગોના શેર્સમાં કડાકો
જ્યાં એક તરફ યાત્રીઓને મુશ્કેલી પડી રહી છે, ત્યાં બીજી તરફ ઇન્ડિગોની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરના રોકાણકારોને પણ મોટો ફટકો પડ્યો છે. સમસ્યા શરુ થયા બાદથી કંપનીના શેરમાં 12 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે કંપનીની માર્કેટ કેપિટલ પણ આશરે ₹40,000 કરોડ જેટલી ઘટી ગઈ છે.










