![]()
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો ઉકેલવામાં પક્ષાપક્ષીનું રાજકારણ હોવું જોઈએ નહિ.
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સિયારામનગરમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગઈકાલે રહીશોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રસ્તાની કામગીરી અધૂરી રાખવામાં આવી છે, વરસાદી પાણી ભરાવાની સાથે ડ્રેનેજ ચોકઅપ થવાની અને ગંદકીની સમસ્યા છે. બે કાઉન્સિલર ભાજપના અને બે કાઉન્સિલર કોંગ્રેસના હોવાથી રજૂઆત સમયે એકબીજા વચ્ચે મનદુઃખથાય છે અને તેની અસર નાગરિકોને ભોગવવી પડી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા.
આ મુદ્દે મ્યુ. કોર્પોરેશનના વિપક્ષ નેતા અને વોર્ડનંબર ૧૬ના કાઉન્સિલરે પ્રતિક્રિયા આપી છે કે, સિયારામનગરમાં તેમના પ્રયાસોથી પાણી અને ડ્રેનેજની લાઈનોનું કામ કરવામાં આવ્યું છે. તેઓ વિપક્ષમાં હોવા છતાં પોતાની ફરજ નિભાવતાં લોકોના હિત માટે સતત લડત ચલાવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિસ્તારની ડ્રેનેજ અને દુર્ગંધની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નવું સુવેઝ પંપિંગ સ્ટેશન અને રૂ. ૧૪ કરોડના ખર્ચે સ્લોટર હાઉસ અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે.










