Atal Bihari Vajpayee President offer: ભારતના રાજકારણમાં વર્ષ 2002નો સમયગાળો અત્યંત મહત્ત્વનો હતો. તાજેતરમાં થયેલા એક ખુલાસા મુજબ, ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તે પહેલા પીએમ અટલ બિહારી વાજપેયીના નામ પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી. અટલજીના તત્કાલીન મીડિયા સલાહકાર અશોક ટંડને તેમના પુસ્તક ‘અટલ સ્મરણ’માં આ ચોંકાવનારો દાવો કર્યો છે.
શું હતી રણનીતિ?
પુસ્તકમાં જણાવ્યા અનુસાર, તે સમયે ભાજપમાં એવી ચર્ચા ઉઠી હતી કે અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવે અને તેમના સ્થાને લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદ સોંપવામાં આવે. તે સમયે અડવાણીજીને RSSનું પણ મજબૂત સમર્થન હતું. આ રણનીતિ પાછળ પક્ષમાં સત્તાનું સંતુલન જાળવવાનો હેતુ હતો.
અટલજીએ કેમ ના પાડી?
જ્યારે આ પ્રસ્તાવ અટલ બિહારી વાજપેયી સામે રાખવામાં આવ્યો, ત્યારે તેમણે તેને સ્પષ્ટપણે નકારી દીધો હતો. અટલજીની દલીલ હતી કે, ‘હું એક લોકપ્રિય પીએમ છું. આવી સ્થિતિમાં પીએમનું રાષ્ટ્રપતિ બનવું એ ભારતીય લોકશાહી માટે સારી પરંપરા સાબિત નહીં થાય. હું આવી કોઈપણ પરંપરાનો ભાગ બનનાર છેલ્લો વ્યક્તિ હોઈશ.’
રાષ્ટ્રપતિ પદ માટે કલામની પસંદગી
અટલજીએ પોતે રાષ્ટ્રપતિ બનવાનો ઇન્કાર કર્યા બાદ ડૉ. અબ્દુલ કલામના નામ પર પસંદગી ઉતારી હતી. અશોક ટંડન લખે છે કે જ્યારે સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને મનમોહન સિંહ અટલજીને મળવા આવ્યા, ત્યારે તેમણે પહેલીવાર કલામનું નામ સૂચવ્યું હતું. કલામનું નામ સાંભળીને વિપક્ષી નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોનિયા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે તેઓ આ નામ સાંભળીને હેરાન છે અને તેમની પાસે કલામનું સમર્થન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
આ પણ વાંચો: ‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન
બિનરાજકીય રાષ્ટ્રપતિની પસંદગી
અંતે, એનડીએ અને વિપક્ષના સર્વસંમતિથી ટેકાને કારણે ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે 2007 સુધી આ પદ સંભાળ્યું હતું. અટલજીની આ દીર્ઘદૃષ્ટિને કારણે જ ભારતને એક ‘જનતાના રાષ્ટ્રપતિ'(People’s President) મળ્યા હતા.











