![]()
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડેની આવતી કાલે તા.19મીએ મળનારી બેઠક તોફાની બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વિપક્ષ દ્વારા રસ્તા રીપેરીંગ, ડોર-ટુ-ડોર કચરો લેવાના તા.1 ડિસેમ્બરથી શરુ થયેલા નવા કામ, પીએમ-જેએવાય કાંડ મુદ્દે મ્યુ. તંત્રના આરોગ્ય વિભાગએ લીધેલા પગલાઓ સહિતના મુદ્દે પસ્તાળ પડશે.
આવતી કાલની જનરલ બોર્ડની બેઠકમાં એમ્યુઝમેન્ટ પાર્કથી મેહુલનગરથી ખોડીયાર કોલોની રોડ તરફ જતા રોડ ઉપર મ્યુ. કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-2ના ફાઈનલ પ્લોટ નંબર 97/પૈકીની જગ્યામાં આવેલો 2121 ચોરસ મીટરનો પ્લોટ એક ભાગીદારી પેઢીને વેંચવા, મેહુલનગર રોડ ઉપરની સોસાયટીઓમાં ટીપી સ્કીમ નંબર-2માં બીજી વખત ફેરફાર કરીને સરકારને મોકલવા તેમજ વોટર વર્કસ વિભાગમાં 20ને બદલે 25 ઈન્સ્પેક્ટરોની ભરતી યોજવા ઠરાવો થશે.
તે ઉપરાંત પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષી સભ્યો દ્વારા પીએમ જેએવાય કાર્ડમાં થયેલા અર્પોરેશનો અંગે રાજ્ય સરકાર દ્વારા દંડાયેલી હોસ્પિટલો સામે મ્યુ આરોગ્ય તંત્રએ કોઈ પગલા લીધા છે કે કેમ ? તે અંગે તેમજ આંગણવાડીને લગતી બાબતો તથા શહેરના માર્ગોના ખોદકામ અને પછી તેને પુરવા માટે મરાતા થીગડાઓની પોલીસી તેમજ પશ્નો મુદ્દે તડાફડીભરી રજૂઆતો થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મ્યુ. કોર્પો.ની ગત ચુંટણીમાં ભાજપાના 50 સભ્યો અને કોંગ્રેસના 11 તથા બસપાના 3 સભ્યો ચુંટાયા હતા. હવે વિપક્ષના કોંગ્રેસ જૂથમાંથી 3 સભ્યો છુટા પડીને ‘આપ’માં જતાં વિપક્ષમાં કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ 8નું થયું છે.










