Unseasonal Rain in Bhavnagar: ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે ગુરૂવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અચાનક વાતારણમાં ઠંડક પ્રસરી છે ત્યારે આજે (શુક્રવારે) ભાવનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળતાં ચોમાસાની માફક વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી જવા પામી છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોની ચિંતા વધી
ભાવનગર શહેરમાં આજે (શુક્રવારે) આગ ઝરતી ગરમી વચ્ચે બપોર અચાનક વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. ભર ઉનાળે ચોમાસાની માફક વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલ ધરતીપુત્રોનો ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભિતિ છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે.
વીજળી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા
12 એપ્રિલનાં રોજ ગુજરાત, મધ્યપ્રદેશમાં તાપમાન 40-45 ડિગ્રીની આસપાસ રહેશે. તેમજ દિલ્હી-એનસીઆરમાં 38-40 ડિગ્રી રહેશે. જયારે હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, આસામ, મેઘાલય, કેરળ અને તમિલનાડુમાં હળવો થી મધ્યમ વરસાદની શકયતા છે. ત્યારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના 20 જીલ્લામાં એલર્ટ જરી કરવામાં આવ્યું છે. હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાનની પેટર્ન બદલાઇ
દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય છે, તેની અસર જોવા મળી રહી છે. ઘણાં રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધૂળની આંધી ફૂંકાઈ હતી અને વરસાદ પડ્યો હતો.
યુપી-બિહારમાં વાવાઝોડાને કારણે 83 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 એપ્રિલે યુપી-બિહારમાં વાવાઝોડાને કારણે 83 લોકોના મોત થયા હતા. આમાંથી 61 બિહારથી અને 22 યુપીમાં થયા હતા.