![]()
વનવિભાગનાં બેવડાં વલણ સામે નારાજગી : સામાન્ય દિવસોમાં કોઈને જંગલમાં ફરકવા ન દેતું વનતંત્ર ગાંધીનગરથી થયેલા હુકમને પગલે બંદોબસ્તમાં રહેશે
જૂનાગઢ, : આવતીકાલે તા. 20ના ગિરનાર પરિક્રમા માટે 300થી વધુ લોકોના સંઘને મંજૂરી આપવામાં આવતા આશ્ચર્ય સાથે સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી છે. સામાન્ય દિવસોમાં કોઈને જંગલમાં ફરકવા ન દેતું વનતંત્ર ગાંધીનગરના હુકમને અનુસરીને આ સંઘના બંદોબસ્તમાં પણ રહેશે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની આ બેવડી નીતિ અંગેની ટીકા થઈ રહી છે.
180 ચો. કિ.મી વિસ્તારમાં પથરાયેલું ગિરનાર અભયારણ્ય 90 ચો. કિ.મી.ઉત્તર અને 90 કિ.મી.દક્ષિણ રેન્જ વિસ્તારમાં છે, જેમાં સિંહ, દીપડા સહિતના પ્રાણીઓનો વસવાટ છે. આ અભયારણ્ય વિસ્તારમાં કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનાર પરિક્રમા યોજાય છે, જેમાં લાખો લોકો ઉમટી પડે છે. આ વખતે કમોસમી વરસાદના કારણે પરિક્રમા રદ કરવામાં આવી હતી, વરસાદના વિરામ બાદ પણ પરિક્રમા કરવામાં આવી ન હતી. સ્થાનિક વનવિભાગ પરિક્રમા સિવાયના દિવસોમાં કોઈને જંગલમાં ફરકવા દેતો નથી. જો કોઈ પ્રવેશ કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આવતીકાલે ૩૦૦થી વધુ લોકોના સંઘને ગિરનાર પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
સ્થાનિક વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંઘે ગાંધીનગર અરજી કરી હતી એટલે ત્યાંથી તેને ગિરનાર પરિક્રમા માટેની મંજૂરી આપવામાં આવી છે. શનિવારે આ સંઘ સવારે પાંચ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન પરિક્રમા કરશે. સુરક્ષા માટે વનવિભાગનો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.
સ્થાનિક લોકોને જંગલમાં ફરકવા ન દેતું વનવિભાગ ગાંધીનગરથી ખાસ થયેલા હુકમના આધારે ૩૦૦થી વધુ લોકોના સંઘના બંદોબસ્તમાં રહેશે. ખાસ કિસ્સામાં ગાંધીનગરથી ગિરનાર પરિક્રમા કરવા માટેની મંજૂરીથી સ્થાનિક લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને વનવિભાગના અધિકારીઓની આવી બેવડી નીતિ સામે નારાજગી વ્યાપી છે. જો ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવતી હોય તો સ્થાનિક લોકોએ પણ મંજૂરી લેવાની તૈયારી બતાવી છે ત્યારે આ બાબતને લઇ ભવિષ્યમાં વિવાદ થવાની સંભાવના છે.










