![]()
વિસાવદર પંથકમાં ખેડૂતો પ્રાંત કચેરીએ દોડી ગયા : અડધી મગફળી જોખી રિજેક્ટ કરાય છે : લુખ્ખાઓના ઓથે ખેડૂતોને દબડાવાય છે : રિજેક્ટ કર્યા બાદ પૈસા આપી તે મગફળી ખરીદાતી હોવાના ગંભીર આરોપ
જૂનાગઢ, : ટેકાના ભાવની ખરીદીમાં ગોટાળા શરૂ થતા ખેડૂતો સહિતના આગેવાનો રજુઆત કરવા પ્રાંત કચેરીએ દોડી ગયા હતા. વિસાવદરમાં મંડળી દ્વારા ખેડૂતોની મગફળી સારી હોવા છતાં પૈસા લેવાના આશયથી રિજેક્ટ કરવામાં આવતી હોવાના ગંભીર આરોપ સાથે રજુઆત કરવામાં આવી છે. ખેડૂતો કંઈ રજુઆતો કરે તો લુખ્ખાઓનો ઓથ લઈ ડરાવવાના પ્રયાસ થતા હોવાની પણ ફરિયાદ થતા પ્રાંત કચેરીમાંથી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.
દર વખતે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી પૈસાની માંગણી કરવામાં આવે છે. જો ખેડૂત પૈસા આપી દે તો રિજેક્ટ થયેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદાય જાય છે. આ સિસ્ટમ વિસાવદર પંથકમાં શરૂઆતમાં ન શરૂ થઈ પરંતુ હવે છેલ્લા ઘણા દિવસથી મગફળીનું સેમ્પલ પાસ કરવાના ખેડૂતો પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. આજે ખેડૂતોનું ટોળુ પ્રાંત કચેરી ખાતે દોડી ગયું હતું અને ત્યાં પ્રાંત અધિકારી હાજર ન હોવાથી અન્ય અધિકારીને રજુઆત કરી હતી કે, અડધી મગફળી જોખાઈ ગયા બાદ તેને રિજેક્ટ કરવામાં આવી, ખેડૂતો પાસેથી પૈસા માંગવામાં આવે છે, ખેડૂતો કંઈ રજુઆત કરે તો લુખ્ખાઓનો સહારો લઈ ખેડૂતોને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો થાય છે, થોડા દિવસ પહેલા ખેડૂતોને એક મગફળી સેન્ટર ખાતે માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જો ખેડૂતો પૈસા ન દે તો તેની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. એ જ મગફળી ખેડૂત યાર્ડમાં વેંચે અને યાર્ડના વેપારી અન્ય કોઈ ખેડૂતોની ૭/૧રમાં મગફળી ટેકાના ભાવે વેંચવા જાય તો તે મગફળી ખરીદાય જાય છે. માત્ર ખેડૂતોને જ હેરાન કરવામાં આવી રહ્યા છે.
અડધી મગફળી જોખાઈ ગયા બાદ રિજેક્ટ કરવાનું કારણ શું છે ? તેવા સવાલો ઉઠયા છે. અડધી મગફળી જોખી રિજેક્ટ કર્યા બાદ ખેડૂત લાચાર બની પૈસા દેવા મજબુર બની જાય છે. આવી રીતે ખેડૂતોને મજબુર બનાવી તેની પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ગંભીર આરોપ સાથે પ્રાંત કચેરીમાં ખેડૂતો તથા આગેવાનોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, લુખ્ખાઓના ઓથો ખેડૂતોને દબડાવવાનો પ્રયાસ સાંખી લેવામાં નહી આવે. આમ મગફળીની ખરીદીમાં અગાઉની જેમ જ પૈસા લેવાની સિસ્ટમ શરૂ થતા વિસાવદર પંથકમાં ખેડૂતોએ હોબાળો કરવાનું શરૂ કરતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.










